કારગિલ યુદ્ધના હીરો 'લાયન ઓફ લદાખ' કર્નલ સોનમ વાંગચુકનું નિધન

શનિવાર, 11 એપ્રિલ 2026 (13:44 IST)
1999 ના કારગિલ યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય દાખવનાર અને 'લાયન ઓફ લડાખ' તરીકે જાણીતા નિવૃત્ત કર્નલ સોનમ વાંગચુકનું 61 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. શુક્રવારે સવારે લડાખના લેહ સ્થિત તેમના નિવાસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં અને ભારતીય સેનામાં શોકની લહેર પ્રસરી ગઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમને લડાખના ગૌરવશાળી પુત્ર ગણાવ્યા હતા.
 
કર્નલ સોનમ વાંગચુકને કારગિલ યુદ્ધ દરમિયાન બતાલિક સેક્ટરમાં 'ચોરબાત લા' પર્વત પર પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડીને ભારતીય ચોકીઓ પુનઃસ્થાપિત કરવા માટે દેશના બીજા સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'મહાવીર ચક્ર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ લડાખ સ્કાઉટ્સની ટીમે કોઈ પણ આર્ટિલરી સપોર્ટ વગર 5,500 મીટરની ઊંચાઈએ દુશ્મનોનો સામનો કર્યો હતો અને વિજય મેળવ્યો હતો. તેમની આ બહાદુરીને કારણે જ તેઓ સેનામાં અત્યંત આદરણીય સ્થાન ધરાવતા હતા.
 
લેહ સ્થિત 'ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ' અને ભારતીય સેનાના તમામ રેન્કના અધિકારીઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. લડાખ સ્કાઉટ્સ સાથે તેમનો અતૂટ સંબંધ હતો અને નિવૃત્તિ પછી પણ તેઓ ત્યાં જ સ્થાયી થયા હતા. કર્નલ સોનમ વાંગચુકનું જીવન અને તેમની રાષ્ટ્રભક્તિ આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. તેમના જવાથી દેશે એક સાચો સપૂત અને બહાદુર યોદ્ધા ગુમાવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર