સુરેન્દ્રનગરનો બનાવ- વકિલને કૂતરું કરડ્યું તો કોર્ટે આપ્યો વળતરનો આદેશ

મંગળવાર, 13 માર્ચ 2018 (12:18 IST)
કન્ઝ્યુમર કોર્ટ દ્વારા સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટીને એક વકીલને 2000 રુપિયા વળતર તરીકે આપવાનો આદેશ આપ્યો છે. આ વકીલને કૂતરું કરડી ગયું હતું, જેના માટે તેણે ફરિયાદ કરી હતી. વળતરની સાથે સાથે કોર્ટે મ્યુનિસિપાલિટીને આદેશ આપ્યો છે કે, નગરપાલિકાની હદમાં આવતા તે દરેક વિસ્તાર જ્યાં કૂતરા કરડવાની ફરિયાદ વધારે સંખ્યામાં હોય તેનો નિકાલ કરવામાં આવે. 30 ઓગસ્ટ, 2014ના રોજ એડવોકેટ અમિતકુમાર પરમારને કૂતરું કરડી ગયુ હતુ. તેમણે તાત્કાલિક પ્રશાસનને રઝળતા કૂતરાઓને પકડવાની અરજી કરી હતી અને કલેક્ટર તેમજ ચીફ ઓફિસર સમક્ષ પણ રજુઆત કરી હતી.અમિતકુમારને જ્યારે લાગ્યું કે તેમની અરજી પર કોઈ પગલાં નથી લેવામાં આવ્યા તો તેમણે લીગલ નોટિસ ઈશ્યુ કરી હતી. આ લીગલ નોટિસ પ્રશાસને યાદ કરાવવા માટે મોકલી હતી કે, લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવું અને જાહેર રસ્તાઓ પરથી રઝળતા કૂતરાં દૂર કરવા તેમની જવાબદારી છે.જ્યારે લીગલ નોટિસ ઈશ્યુ કરવા પર પણ કોઈ પગલાં લેવામાં ન આવ્યા તો અમિતકુમારે સુરેન્દ્રનગર જિલ્લાની કન્ઝ્યુમર ડિસ્પ્યુટ ફોરમમાં ફરિયાદ કરી અને કૂતરું કરડવાને કારણે થયેલા નુકસાનનું વળતર માંગ્યું. કોર્ટની નોટિસ પર પણ ચીફ ઓફિસરે કોઈ જવાબ નહોતો આપ્યો.કોર્ટે આ બાબતે જણાવ્યુ હતું કે, મ્યુનિસિપાલિટી કાયમ આરીતે લોકોની સુરક્ષાના મુદ્દાની અવગણના કરતી હોય છે. રઝળતા કૂતરાં અને અન્ય પ્રાણીઓને કારણે લોકોને ઘણી સમસ્યા થતી હોય છે. અમિતકુમારની ફરિયાદ જ દર્શાવે છે કે, અરજી કરવા છતાં, નોટિસ મોકલવા છતાં અને લીગલ નોટિસ સુધી વાત પહોંચવા છતાં મ્યુનિસિપાલિટી કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરતી. મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસરે નોટિસનો જવાબ પણ નથી આપ્યો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર