પાકિસ્તાની હિંદુઓના વિઝા અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી
શુક્રવાર, 25 એપ્રિલ 2025 (23:10 IST)
જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલા પછી ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાની હિંદુઓના લૉંગ ટર્મ વિઝા (એલટીવી) અંગે સ્પષ્ટતા જારી કરી છે.
મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન પ્રમાણે, "જે વિઝાને રદ કરવાની વાત કરાઈ છે, તે પાકિસ્તાનના હિંદુ નાગરિકોને પહેલેથી આપવામાં આવેલા એલટીવી પર લાગુ નહીં થાય. આ વિઝા હજુ પણ માન્યતાપ્રાપ્ત છે."
આ અગાઉ વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બુધવારે જણાવ્યું હતું કે, "હવે પાકિસ્તાની નાગરિકો સાર્ક વિઝા મુક્તિ યોજના (એસવીઇએસ) હેઠળ જારી થયેલા વિઝાના આધારે ભારતની યાત્રા નહીં કરી શકે."
તેમણે કહ્યું હતું કે "એસવીઇએસ હેઠળ પાકિસ્તાની નાગરિકોને અગાઉ જારી કરાયેલા વિઝા રદ ગણવામાં આવશે. એસવીઇએસ હેઠળ જે પાકિસ્તાની નાગરિકો ભારતમાં છે, તેમણે 48 કલાકમાં ભારત છોડવું પડશે."
ગયા મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલા પછી ભારત દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં અને કેટલાયને ઈજા થઈ હતી.