ગુજરાતમાં 8 IPSને પોસ્ટિંગ આપ્યા બાદ 233 PSIને અપાયુ PIનું પ્રમોશન

ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (18:16 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ 18 IASની સાગમટે ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યાર બાદ 8 IPS અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. હવે એક સાથે 233 બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટરોને હંગામી ધોરણે બિન હથિયારી પોલીસ ઈન્સપેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ તમામ કર્મચારીઓને સુપ્રીમ કોર્ટમાં પડતર સ્પેશિયલ લીવ ટુ અપીલમાં આવનાર આખરી ચુકાદાને આધીન રહેવાની શરતે બઢતી આપવામાં આવી છે.

બીજી તરફ ગુજરાતના મોટાભાગના IPS અધિકારીઓને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મહત્વના પોસ્ટિંગ પર છે. જેમાં RAW અને અન્ય મહત્વની એજન્સીમાં ગુજરાત કેડરના IPS અધિકારીઓ હાલ ફરજ પર છે ત્યારે હવે ગુજરાતમાં પણ કેટલીક મહત્વની ખાલી પડેલી જગ્યાઓ પર બદલી અને પોસ્ટિંગ થવાના છે. તેમ માનીને ઘણા IPS અધિકારીઓ લોબિંગ કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. એટીએસના ડીઆઈજી કેન્દ્રમાં ગયા છે અને અમદાવાદના સેક્ટર-2નું પોસ્ટિંગ ઇન્ચાર્જમાં ચાલી રહ્યું છે. રાજકોટમાં ટીઆરપી મોલમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદના સેક્ટર-2 રહેલા બ્રિજેશ કુમાર ઝાને રાજકોટ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, તેવા સમયે અમદાવાદની ખાલી જગ્યા ભરવામાં આવશે તેવું નક્કી છે. માત્ર એટલું જ નહીં અમદાવાદ શહેરમાં કેટલાક ડીસીપીની બદલી પણ ચૂંટણી સમયે આવવાની હતી. પરંતુ કોઈ કારણસર તે અટકી ગઈ હતી અને હવે સરકાર એ દિશામાં વિચારણા કરી રહી હોવાની વાત પણ સામે આવી રહી છે. જેમાં નવા IPS અધિકારીઓને અમદાવાદ શહેરમાં મહત્વની પોસ્ટિંગ મળે તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર