75 Rupees Coin: નવા સંસદ ભવનના ઉદ્દઘાટન પર રજુ થશે ખાસ સિક્કો, રહેશે અનેક વિશેષતા

શુક્રવાર, 26 મે 2023 (11:42 IST)
75 rupees coin: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે 75 રૂપિયાનો નવો સિક્કો પણ બહાર પાડવામાં આવશે, જેમાં ઘણી વિશેષતાઓ હશે. નાણા મંત્રાલયે નવા સિક્કા બનાવવા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
 
આ ધાતુઓથી બનશે સિક્કો 
 
નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો (Rs 75 Coin) લોન્ચ કરવામાં આવશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી અને 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. 5-5 ટકા નિકલ અને ઝીંક ધાતુ હશે.
 
આવો રહેશે નવો સિક્કો 
 
75 રૂપિયાના આ નવા સિક્કાની આગળની બાજુએ અશોક સ્તંભની નીચે 75 રૂપિયાનું મૂલ્ય લખવામાં આવશે. આ સિવાય જમણી અને ડાબી બાજુએ હિન્દી અને અંગ્રેજીમાં ભારત લખેલું હશે. સિક્કાની બીજી બાજુ નવા સંસદ ભવનનું ચિત્ર હશે, જેના પર હિન્દીમાં સંસદ સંકુલ અને નીચે અંગ્રેજીમાં લખેલું હશે. સંસદના ચિત્રની નીચે વર્ષ 2023 લખેલું હશે.
 
કલકત્તાની ટંકશાળની બનાવટ  
આ સિક્કો ભારત સરકારની કોલકાતા ટંકશાળમાં બનાવવામાં આવી રહ્યો છે. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. નાણા મંત્રાલયે કહ્યું છે કે આ સિક્કાને ફર્સ્ટ શેડ્યૂલના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર