ભાજપના આ ધારાસભ્ય પણ નહી લે પગાર, જાણો કોણે લેખિતમાં લખ્યો પત્ર

શનિવાર, 24 ડિસેમ્બર 2022 (16:13 IST)
ગુજરાત વિધાનસભાના ૨૦૨૨ના ચુંટણીમાં ચુંટાયેલા પાંચ ધારાસભ્યો એવા છે કે જેમની સંપત્તિ અબજોમાં છે. આ અબજોપતિ ધારાસભ્યોએ ઉમેદવારી દરમિયાન તેમણે જાહેર કરેલ નોટરી મુજબ આ પાંચ ઉમેદવારોમાં જે.એસ પટેલ, બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત, અજીતસિંહ પુરુષોત્તમ ઠાકોર, રઘુભાઈ મોરારજીભાઈ દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલાનો સમાવેશ થાય છે. ભાજપના આ ધારાસભ્યોની સંપત્તિ અબજોમાં છે. ત્યારે આજે ગુજરાત સરકારના સૌથી ધનિક ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે આજે મુખ્યપ્રધાનને મળીને જાહેરાત કરી છે કે તેઓ સરકાર તરફથી મળી રહેલા પગાર ભથ્થા કે અન્ય કોઈપણ નાણાકીય લાભ નહીં લે.  જેને સરકારમાં પરત જમા વિનંતી પણ કરી છે.
 
ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે આજે મુખ્યપ્રધાનને મળીને જાહેરાત કરી છે કે તેઓ સરકાર તરફથી મળી રહેલા પગાર ભથ્થા કે અન્ય કોઈપણ નાણાકીય લાભ નહીં લે. સંદર્ભમાં બલવંતસિંહે મુખ્યપ્રધાનને લેખિતમાં એક પત્ર પણ આપ્યો છે.
 
પ્રથમ વખત જ કેબિનેટ પ્રધાન બનેલા બલવંતસિંહ રાજપૂત અગાઉ પણ જીઆઇડીસી ના ચેરમેન હતા તે સમય દરમિયાન પણ સરકારના કોઈ જ લાભ લીધા ન હતા પગાર ભથ્થા ઉપરાંત સરકારી પેટ્રોલ પણ લીધું ન હતું. આ ઉદ્યોગ પ્રધાનના આ ર્નિણયને સામાન્ય લોકો પણ વધાવી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે કે બળવંતસિંહની માફક અન્ય પ્રધાનઓ અને ધારાસભ્યોએ તેમજ સાંસદોએ પણ સરકારી પગાર ભથ્થા લેવા જોઈએ નહીં કારણકે પ્રધાનઓ અને ધારાસભ્યોને જે પગાર ભથ્થા મળે છે તે લોકોના ઘરમાંથી સરકારની થતી આવક નો હિસ્સો હોય છે.
 
રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના પ્રધાનોની આવક લાખ કરતા વધુ અને પગારભથ્થું મળતું હોય છે. આ ઉપરાંત મોબાઈલ બિલ, પ્રવાસ બિલ, મેડિકલ બિલ, વીજ બિલ જેવા લાભો પણ મંત્રીઓને મળતા હોય છે. જો કે ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના બળવંતસિંહ રાજપૂત પહેલા પ્રધાન છે.
 
જેમને સરકાર તરફથી મળતી તમામ સુવિધા લેવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા છે. નવા પ્રધાન મંડળમાં બળવંતસિંહને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે. જેમાં તેમને ઉદ્યોગ અને એવિએશન ડિપાર્ટમેન્ટની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો