આઈપીએલના ઇતિહાસમાં સદીના મામલામાં કોહલીનો ‘વિરાટ’ રૅકોર્ડ

સોમવાર, 22 મે 2023 (08:39 IST)
બૅંગલુરુના મેદાનમાં હાલ ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર વચ્ચે રસપ્રદ મુકાબલામાં વિરાટ કોહલીએ એક નવો રેકૉર્ડ સર્જયો છે.
 
ક્રિકેટ રસીકો માટે કોહલીને લઈને ખૂબ જ જોરદાર સમાચાર આવ્યા . પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતા રવિવારે વિરાટ કોહલીએ પોતાના નામે અન્ય એક રૅકોર્ડ નોંધાવી દીધો છે.
 
આઈપીએલના પંદર વર્ષના ઇતિહાસમાં 7 સદી ફટકારનાર એકમાત્ર ખેલાડીનો રૅકોર્ડ હવે એક માત્ર કોહલીના નામે નોંધાઈ ગયો છે.
 
આ પહેલાં આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારનાર વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર ક્રિસ ગેઇલના નામે હતો. ગેઇલે આઇપીએલમાં 6 સદી ફટકારી હતી. જ્યારે ત્યારબાદ પાંચ સદી ફટકારનાર બટલરનું નામ હતું. પરંતુ વિરાટ કોહલીએ આજે સળંગ બે મૅચમાં સદી ફટકારી એક જ ઝાટકે આ રૅકોર્ડ પોતના નામે નોંધાવી લીધો છે.
 
બીબીસી ગુજરાતી
આઈપીએલમાં વિરાટની સદી
બીબીસી ગુજરાતી
100*- વિરુદ્ધ ગુજરાત લાઇન્સ - 24 એપ્રિલ 2016- રાજકોટ
 
108*- વિરુદ્ધ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ - 7 મે 2016- બેંગલુરુ
 
109- વિરુદ્ધ ગુજરાત લાયન્સ- 14 મે 2016- બેંગલુરુ
 
113- વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ- 18 મે 2016- બેંગલુરુ
 
100- વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ- 19 એપ્રિલ 2019- કોલકાતા
 
100- વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ- 18 मे 2023- હૈદરાબાદ
 
101*- વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ- 21 મે 2023- બેંગલુરુ
  
 
આઈપીએલ 2023માં ભારતીય ખેલાડીઓનો ડંકો
 
હવે ભારતીય આઈપીએલમાં સૌથી વધુ રન, સૌથી વધુ સદી અને સૌથી વધુ વિકેટ લેનારની યાદીમાં ભારતીય ટોચ પર પહોંચી ગયા છે. વિરાટ કોહલીએ પાછલી મૅચમાં હૈદરાબાદ સામે અને આજની ચાલી રહેલી મૅચમાં ગુજરાત સામે સળંગ બે સદી ફટકારી છે. એવામાં હવે વિરાટે 237 આઈપીએલની મૅચમાં સૌથી વધુ 7225 રન નોંધાવ્યા છે.
 
એટલે કે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન કરનાર પણ કોહલી છે અને સૌથી વધુ સદી ફટકારનાર પણ કોહલી છે. જ્યારે બૉલિંગના વિભાગમાં આ વર્ષે રાજસ્થાન રૉયલ્સ તરફથી રમી રહેલા ભારતીય સ્પિનર ચહલ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 187 વિકટ લેનાર એકમાત્ર બૉલર બની ગયા છે.
આ પહેલાં સૌથી વધુ વિકેટ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર બ્રાવોના નામે હતો. ચહલે આ સિદ્ધી 145 મૅચમાં હાંસલ કરી છે.
 
હૈદરાબાદમાં સદી પર શું બોલ્યા હતા વિરાટ કોહલી?
 
મૅચમાં જીત બાદ વિરાટને પ્લેયર ઑફ ધ મૅચ અને મૅચ દરમિયાન સૌથી વધુ ચોગ્ગા અને સૌથી લાંબો છગ્ગો ફટકારવાનું પણ ઇનામ મળ્યું હતું.
 
આ દરમિયાન વિરાટે તેમની આ ઇનિંગ્સ અને મૅચ વિશે વાત કરી હતી.
 
વિરાટે કહ્યું હતું કે, “આજે બૉલ બેટની વચ્ચોવચ્ચ આવી રહ્યા હતા. અમે સારી શરૂઆત કરવા માગતા હતા, પરંતુ 172 પર એક પણ વિકેટ નહીં પડે એવું અમે પણ વિચાર્યું નહોતું.”
 
તેમણે કહ્યું હતું કે, “છેલ્લી એક-બે મૅચ મારા માટે ખરાબ રહી હતી. નેટ્સ પર પણ હું સારી રીતે બૉલ હિટ કરી શકતો નહોતો, ત્યારે મને ખુશી છે કે આ ઇનિંગ યોગ્ય સમયે આવી છે.”
 
ડુપ્લેસી સાથે ભાગીદારી પર વિરાટે મજા લેતાં ટિપ્પણી કરી હતી, “અમે બંને ટૅટુ પસંદ કરીએ છીએ.”
 
જોકે તેમણે એ પણ કહ્યું કે આપણા વચ્ચે સારી સમજ છે અને અમને ખબર છે કે મૅચને કેવી રીતે આગળ વધારવાની છે.
 
સાથે વિરાટ સાથે સારી ભાગીદારી નિભાવવા વિશે ફાફ ડુપ્લેસીએ કહ્યું હતું કે, “હું અને કોહલી એકબીજાના પૂરક છીએ અને અલગ-અલગ ક્ષેત્રોમાં બૉલ ફટકારીએ છીએ. મેદાન બહાર પણ અમારું સમીકરણ શ્રેષ્ઠ છે.”
 
ચાર વર્ષ પછી વિરાટે ફટકારી હતી સદી
આઈપીએલમાં વિરાટની સદી ચાર વર્ષ પછી જોવા મળી હતી. તેમણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ઈડન ગાર્ડનમાં 2019માં 100 રનોની ઇનિંગ રમી હતી.
 
આ સિઝનમાં અત્યાર સુધી વિરાટે તેમના બૅટથી છ અર્ધી સદી અને બે સદીના કારણે 639 રન બનાવ્યા છે અને સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅનની યાદીમાં બીજા સ્થાને રહ્યા છે.
 
વિરાટે આ સિઝનમાં પહેલી જ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 82 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તેઓ 61, 50, 59, 54, 55, 100 રનની ઇનિંગ્સ પણ રમી ચૂક્યા છે.
 
સ્ટ્રાઇક રેટ પર સવાલ ઉઠાવનારાઓને કોહલીએ શું કહ્યું હતું?
 
 
વિરાટ કોહલીએ ગુરુવારે સનરાઇઝર્સ સામે 63 બૉલમાં 100 રન બનાવ્યા હતા. તેમણે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુના કપ્તાન ફાફ ડુપ્લેસી સાથે 172 રનની ભાગીદારી કરી હતી.
 
રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુના સ્ટાર બૅટ્સમૅન પોતાના સ્ટ્રાઇક રેટ પર ઉઠાવવામાં આવી રહેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા.
 
પોસ્ટ મૅચ પ્રેઝન્ટેશનમાં કોહલીએ સનરાઇઝર્સ સામેના અત્યાર સુધીના તેના સાધારણ પ્રદર્શન વિશે કહ્યું હતું કે, “હું ભૂતકાળના આંકડાને જોતો નથી. મેં મારી જાત પર ખૂબ દબાણ કર્યું છે. ઘણી વખત અસરકારક ઇનિંગ્સ રમવા છતાં હું મારી જાતને શ્રેય આપી શકતો નથી. તેથી જ તે બહારનું કોઈ શું કહે છે તેની તેને બહુ પડી નથી કારણ કે તે તેમનો અભિપ્રાય છે.”
 
કોહલીએ કહ્યું કે, "જ્યારે તમે પોતે આ સ્થિતિમાં હોવ ત્યારે તમે જાણો છો કે ક્રિકેટની રમત કેવી રીતે જીતવી. મેં આ બધું લાંબા સમયથી કર્યું છે. એવું નથી કે જ્યારે હું રમું છું, ત્યારે મારી ટીમ જીતતી નથી. પરિસ્થિતિ અનુસાર રમવામાં મને ગર્વ છે."
 
કોહલીની એમ કહીને ટીકા થઈ રહી છે કે તે મિડલ ઓવરોમાં ધીમા રમે છે.
 
તેમણે કહ્યું, “હું મારી ટૅકનિકને યોગ્ય રાખવા માંગુ છું. હું ફૅન્સી શૉર્ટ્સ રમવાનું ટાળું છું."
 
વિરાટે કહ્યું કે, “હું એવો ખેલાડી નથી રહ્યો જે ઘણા ફેન્સી શોટ્સ રમે. અમારે બાર મહિના ક્રિકેટ રમવાની હોય છે. હું ફૅન્સી શૉટ રમીને વિકેટ ગુમાવવા માગતો નથી. આઈપીએલ પછી ટેસ્ટ ક્રિકેટ થશે. મારે મારી ટૅકનિક યોગ્ય રાખવી પડશે. મારે મારી ટીમ માટે મૅચ જીતવી છે."
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર