ખુશ થવું? કે દુ:ખી?, બદલીઓથી કંટાળી આપઘાતની મંજૂરી માંગી તો થઇ ફરીથી બદલી!

શનિવાર, 22 નવેમ્બર 2014 (17:40 IST)
સામાન્ય રીતે કોઇ માણસ ખૂબ બીમાર હોય તો તે ઇચ્છા મૃત્યુની માગણી કરે છે, પરંતુ માંગરોળમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીએ વારંવાર થતી બદલીથી કંટાળી આપઘાતની મંજૂરી આપવા કે રાજીનામું આપવા માટે ઉચ્ચ અધિકારીઓને કરેલી માગણી બાદ તેની વધુ એકવાર બદલી કરાઇ હોવાનું જાણવા મળે છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં નાયબ પોલીસ વડાની કચેરીમાં રીડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આર.એફ.ચૌધરીએ છેલ્લા ૧૦ મહિનામાં ત્રણ વાર કરાયેલી બદલીથી કંટાળી પોતાને આત્મહત્યા કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માગણી કરતો પત્ર તેમના ઉપરી અધિકારીઓને પાઠવ્યો હતો. પોલીસ અધિકારી તરીકેની ફરજ બજાવતા યુવાને બદલીથી કંટાળી આ પ્રકારની માગણી કરતા ચકચાર મચી હતી. વારંવારની બદલીથી કંટાળીને આપઘાત માટે કે રાજીનામું સ્વીકારવાની મંજૂરી માગનાર માંગરોળ ડીવાયએસપી કચેરીના રીડર પીએસઆઇ આર.એફ. ચૌધરીની ફરી બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

દરમિયાનમાં આ વિવાદાસ્પદ અધિકારીની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમની વહીવટી કારણોસર વધુ એક વાર ટ્રાન્સફર કરાઇ હોવાનું કહેવાય છે.

વેબદુનિયા પર વાંચો