મંદિરને ટાર્ગેટ કરવાની સૂચક મોડ્સ ઓપરેન્ડી

PTIPTI
રાજસ્થાનના પાટનગર જયપુરમાં આજે થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટ અને વર્ષ 2006માં વારાણસીમાં થયેલા શ્રેણીબદ્ધ ધમાકા વચ્ચે કેટલીક સામ્યતા દર્શાવતી બાબતો ઉજાગર થઈ છે. વારાણસીમાં વર્ષ 2006ના માર્ચ માસમાં વિસ્ફોટો થયા હતા. સિરીયલ બોંબ બ્લાસ્ટની શરૂઆત સાંજે છ વાગ્યાની આસપાસ થઈ હતી.

આતંકવાદીઓએ સંકટમોચન હનુમાન મંદિરને પોતાનુ નિશાન બનાવ્યુ હતુ. મંગળવારના રોજ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ હોવાના કારણે અહીં બોંબ બ્લાસ્ટ કરવાની યોજના બનાવવામાં આવી હતી. મંદિર પરિસરની બહાર પહેલો જોરદાર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં સંખ્યાબંધ લોકોના મોત નીપજ્યાં હતા. આ બનાવ બાદ શહેરભરમાં દોડધામ મચી ગઈ હતી.

તે સમયે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર અને એક ઉભેલી ટ્રેનમાં બે વિસ્ફોટો થયા હતા. વારાણસીની આ ઘટનાની જેમ ગઈકાલે જયપુરમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં હનુમાન મંદિરને નિશાન બનાવવામાં આવ્યુ હતુ. હનુમાન મંદિર પાસે મંગળવારે ભક્તોની ભીડ જામે છે તેવુ જાણતા આતંકવાદીઓએ મંગળવારનો દિવસ જ પસંદ કર્યો હતો અને સમય પણ સાંજનો જ હતો.

આ વખતે સાંજે સવા સાત વાગ્યાની આસપાસ બોંબ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં સંખ્યાબંધ લોકોના મોત નીપજ્યાં હતા. અલબત્ત, વારાણસી અને જયપુરમાં થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટ વચ્ચે હનુમાન મંદિરને નિશાન બનાવવાની મોડ્સ ઓપરેન્ડી સૂચક છે.

વેબદુનિયા પર વાંચો