: યૂપીના પ્રતાપગઢના કુંડામાં માર્યા ગયેલા ડીએસપી જિયા ઉલ હકના પરિવારમાં સરકાર તરફથી મળનારી સરકારી નોકરીઓને લઈને વિવાદ વધી ગયો છે. આટલુ જ નહી ડીએસપીના પરિવારની માંગ પણ સતત વધતી જઈ રહી છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી અખિલેશ યાદવે ડીએસપીના પાંચ સભ્યોને નોકરી આપવાનું વચન આપ્યુ હતુ. પરંતુ આ નોકરી કોને મળે તેને લઈને ડીએસપી પત્ની અને પિતા વચ્ચે તકરાર થઈ છે.
ડીએસપીના મોત પછી પ્રદેશ સરકારે પરિવારના પાંચ સભ્યોને યોગ્યતા અનુસાર નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે. મૃત ડીએસપીના પત્ની પરવીન આઝાદે સરકારી નોકરીઓ માટે જે યાદી બનાવી છે તેમાં પોતાના પિયરના લોકોના નામો પણ સામેલ કર્યા છે. આ ઉપરાંત પરવીને આ યાદીમાં પોતાના પિયરના લોકોના નામો જ ઉપર રાખ્યા છે. જેના કારણે પરવીન અને તેના સાસરી પક્ષના લોકો વચ્ચે મતભેદો ઉભરી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કુંડામાં જૂથ અથડામણને રોકવા ગયેલા ડીએસપીની હત્યા કરવામાં આવી હતી. ડીએસપીના પત્ની પરવીન આઝાદે ધારાસભ્ય રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયા પર આ હત્યાનો આરોપ લગાવ્યો છે અને કહ્યુ હતુ કે તેમના જ ષડયંત્રના કારણે જ તેમના પતિની હત્યા કરવામાં આવી છે.
મળતી જાણકારી પ્રમાણે પરવીને નોકરી માટે પાંચના બદલે આઠ લોકોની યાદી મોકલી છે. આ યાદી અંગે પરવીન અને સાસરીયાના લોકો વચ્ચે તકરાર શરૂ થઈ છે. ઝિયા-ઉલ-હકના પિતા અને ભાઈને આ યાદીમાં સામેલ લોકોના નામોની જાણકારી મળી તો તેઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેઓનું કહેવું છે કે નોકરીનો લાભ માત્ર ઝિયા-ઉલ-હકના પરિવારજનોને જ મળવો જોઈએ.