રાજા ભૈયા દોષી હશે તો સજા જરૂર મળશે - અખિલેશનો દિલાસો

મંગળવાર, 5 માર્ચ 2013 (10:58 IST)
P.R
ઝિયા ઉલ હકના મોતના આરોપ હેઠળ રાજીનામુ આપી ચુકેલ અખિલેશ મંત્રી મંડળના રાજા ભૈયાને લઈને યુપીમાં રાજકારણીય પરિસ્થિતિ હાલ નાજુક છે જેને જોતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે દેવરિયામાં શહીદ પોલીસ અધિકારી ઝિયા ઉલ હકના પરિવારજનોની મુલાકાત લીધી હતી.

પરિવારજનોને અખિલેશે એવો વિશ્વાસ આપ્યો હતો કે તેઓ હત્યાકાંડમાં સીબીઆઈ તપાસની ભલામણ કરશે. તેમણે કહ્યુ હતુ કે જો આ ઘટનામાં રાજા ભૈયા દોષિત સાબિત થશે તો તેમની ધરપકડ થશે. મુખ્યમંત્રીએ મૃતક પોલીસ અધિકારીના પરિવારને રૂ. 50 લાખનું વળતર આપવાની ઘોષણા કરી હતી. આ સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની પણ ઘોષણા કરી હતી. દેવરીયા પહોંચતા પહેલા અખિલેશને વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો.

પોલીસ અધિકારીના પત્ની પરવીન આઝાદે કહ્યુ છે કે તેમના પતિની હત્યા કરવામાં આવી છે. એક ષડયંત્ર હેઠળ તેમને ગોળી મારવામાં આવી છે. જ્યાં સુધી રાજા ભૈયાની ધરપકડ ન થાય ત્યાં સુધી તે પતિના અંતિમસંસ્કાર નહીં થવા દે.

તબીબી રિપોર્ટસ પ્રમાણે ઝિયા-ઉલ-હકને ગોળી મારવામાં આવી એ પહેલા માર મારવામાં આવ્યો હતો. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ જોવા મળે છે.

વેબદુનિયા પર વાંચો