મોદીનો સાથ આપવા બદલ અંબાણીને જાનથી મારવાની ધમકી

બુધવાર, 27 ફેબ્રુઆરી 2013 (15:59 IST)
P.R
આતંકી સંગઠન ઈંડિયન મુજાહિદ્દીને દેશના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ચિઠ્ઠી મોકલીને જાનથી મારવાની ધમકી આપી છે. ઈંડિયન મુજાહિદ્દીને ચિઠ્ઠીમાં લખ્યુ છે કે જો તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ મોદીનુ સમર્થન કર્યુ તો તેમને તેની મોટી કિમંત ચુકવવી પડશે. આ ઉપરાંત ચિઠ્ઠીમાં એ પણ લખવામાં આવ્યુ છે કે જો તેમણે ગુજરાતમાં રોકાણ કરવુ બંધ ન કર્યુ તો તેની કિમંત તેમને પોતાના પરિવારનો જીવ ગુમાવીને ચુકાવવી પડશે. આ સમાચાર જેવા પોલીસ સુધી પહોંચ્યા ત્યારે હાહાકાર મચી ગયો. પોલીસ ઉપરાંત મોટા અધિકારીઓએ તરત જ ઘટનાની તપાસનો આદેશ આપ્યો. જો કે પોલીસ એવુ પણ માની રહી છે કે કોઈ તોફાની તત્વોએ હેરાન કરવા માટે આવી હરકત કરી હશે.

બીજી બાજુ આ પત્રની ગંભીરતાથી પણ લેવામાં આવી રહ્યો છે કારણ કે પત્રમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનના આતંકી દાનીશને છોડી મૂકવાની માંગ કરવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે કે જો દાનીશને છોડવામાં નહીં આવે તો દેશના સૌથી વધુ શ્રીમંત વ્યક્તિને તેનું નુકસાન ભોગવવું પડશે. રવિવારે બપોરે આ પત્ર અંબાણીની ઑફિસ પર મોકલવામાં આવ્યો હતો. મુંબઇ પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

પત્રમાં અંબાણી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓના દક્ષિણ મુંબઇ સ્થિત અલ્ટામાઉન્ટ રોડ પરના મકાનની જમીન વક્ફ બોર્ડની છે. જેનો પણ અંબાણીએ કબજો કર્યો છે. ત્યારે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લેતાં આ તપાસ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો