તુર્કીએ-અઝરબૈજાન નાં બોયકોટની જોવા મળી અસર, MakeMyTrip ટ્રીપ પર કેન્સલ કરાવનારાઓની લાગી ભીડ
બુધવાર, 14 મે 2025 (20:26 IST)
Azerbaijan
Boycott Turkey-Azerbaijan: જ્યારે દેશની સુરક્ષાની વાત આવે છે, ત્યારે દરેક સામાન્ય માણસનું દિલ પોતાના દેશ માટે ધડકે છે. પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ શરૂ થયો ત્યારથી બરાબર એ જ વાત ચાલી રહી છે. પાકિસ્તાનને મદદ કરવા બદલ તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયા પર એક વિશાળ ઝુંબેશ ચાલી રહી છે. ભારતના નાગરિકોમાં ગુસ્સો છે. તેની સીધી અસર તુર્કી અને અઝરબૈજાનની ફ્લાઇટ બુકિંગ પર જોવા મળી છે. લોકો મોટી સંખ્યામાં આ બે દેશોની તેમની આયોજિત યાત્રાઓ રદ કરી રહ્યા છે.
ટ્રાવેલ વેબસાઇટ MakeMyTrip એ એક પ્રાઈવેટ વેબસાઈટને જણાવ્યું હતું કે આ બંને દેશો માટે બુકિંગમાં લગભગ 60 ટકાનો ઘટાડો થયો છે અને રદ કરવામાં 250 ટકાનો વધારો થયો છે. જ્યારે વેબસાઇટે આ દેશો માટે ફ્લાઇટ બુકિંગ સંપૂર્ણપણે બંધ કર્યું નથી, તેમણે કહ્યું કે તેઓ ભારતીય ભાવના અને આપણા સૈનિકોના સન્માનમાં આ દેશો માટે હવે કોઈ પ્રમોશનલ ઑફર નહિ આપે અને બિન-જરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી રહ્યા છે.
EaseMyTrip ના સંસ્થાપક નિશાંત પિટ્ટીએ પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યારે રાષ્ટ્રીય હિતની વાત આવે છે, ત્યારે આપણે આપણા પોતાના ફાયદા કે આરામને બદલે દેશને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પર અપીલ કરી કે આપણે ફક્ત તુર્કી અને અઝરબૈજાનની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ નહીં, પરંતુ ચીની ઉત્પાદનો અને વેબસાઇટ્સથી પણ દૂર રહેવું જોઈએ. તેમનું કહેવું છે કે ફક્ત વાતો કરવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં, આપણે આપણા વર્તનમાં પણ દેશભક્તિ બતાવવી પડશે. EaseMyTrip માં તુર્કીની ટ્રિપ્સ માટે 22 ટકા અને અઝરબૈજાનની 30 ટકા ટ્રિપ્સ રદ કરવામાં આવી છે.
ટ્રાવેલ એજન્સીઓએ જૂના બુકિંગ કેમ રદ ન કર્યા?
જોકે, કેટલાક લોકો ફક્ત તુર્કીનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરે છે, તેથી ટ્રાવેલ એજન્સીઓએ જૂના બુકિંગ રદ કર્યા નથી જેથી મુસાફરોને વધુ અસુવિધા ન થાય. છતાં, તેમણે નવા બુકિંગ લેવાનું બંધ કરી દીધું છે. ઉપરાંત, લોકોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી આ દેશોમાં મુસાફરી કરવાનું ટાળો.
2014 પછી લોકોએ ખૂબ ફર્યા
રસપ્રદ વાત એ છે કે, ભારત તુર્કી અને અઝરબૈજાન માટે એક મોટું પ્રવાસન બજાર રહ્યું છે. 2014માં ફક્ત 4,8૦૦ ભારતીયોએ અઝરબૈજાનની મુલાકાત લીધી હતી, જ્યારે 2024 માં આ સંખ્યા વધીને 2.43 લાખ થવાની ધારણા છે. તેવી જ રીતે 2024 માં ૩.૩ લાખ ભારતીય પ્રવાસીઓએ તુર્કીની મુલાકાત લીધી હતી. આ આંકડા દર્શાવે છે કે ભારતથી આ દેશોમાં ઘણી મુસાફરી થાય છે, પરંતુ હવે લોકો પોતાના નિર્ણયો બદલી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર બોયકોટ
આ દરમિયાન, સોશિયલ મીડિયા પર #BoycottTurkey, #BoycottAzerbaijan અને #BoycottTurkeyAzerbaijan જેવા હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકોએ આંકડા શેર કર્યા અને જણાવ્યું કે કેટલા ભારતીયો આ દેશોમાં જાય છે અને તેમણે હવે ત્યાં જવાનું કેમ બંધ કરવું જોઈએ. શિવસેનાએ પણ 8 મેના રોજ તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું. અને Turkish Airlines માં મુસાફરી ન કરવાની સલાહ આપી અને ઇન્ડિગોને તેની સાથેની ભાગીદારીનો અંત લાવવા માટે કહ્યું
ઇન્ડિગોની ફ્લાઇટ્સ હાલ કેન્સલ નહિ
ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું છે કે આ દેશોમાં તેની કોઈપણ ફ્લાઇટ રદ કરવામાં આવશે નહીં. મનીકંટ્રોલના એક અહેવાલ મુજબ, ઇન્ડિગોના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તુર્કી માટે ફ્લાઇટ્સની માંગમાં કોઈ ઘટાડો થયો નથી. તેમણે કહ્યું કે જો ભવિષ્યમાં માંગ ઘટશે તો કંપની ચોક્કસપણે તેના વિશે ફરીથી વિચાર કરશે. અધિકારીએ એમ પણ કહ્યું કે કંપની હાલમાં અઝરબૈજાન માટે ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડવાનું વિચારી રહી નથી. ઈન્ડિગોએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.