જાણો કોણ છે જીગ્નેશ મેવાણી, જેણે 5 વર્ષ પહેલાં ગુજરાતમાં ભાજપને આપી હતી ટક્કર

સોમવાર, 2 મે 2022 (15:40 IST)
ગુજરાતની વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની 20 એપ્રિલની રાત્રે આસામ પોલીસે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરી હતી. સમાચાર અનુસાર, એક ટ્વિટને લઈને આસામમાં જિગ્નેશ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જીગ્નેશે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જીગ્નેશ ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. આવી સ્થિતિમાં એ જાણવું પણ જરૂરી છે કે આખરે જીગ્નેશ મેવાણી કોણ છે?
 
કોણ છે જીગ્નેશ મેવાણી?
જીગ્નેશ મેવાણી ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય, દલિત કાર્યકર અને સામાજિક કાર્યકર છે. તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી તેઓ પાર્ટીમાં જોડાયા નથી. જીગ્નેશ ગુજરાતના રાજકારણમાં મોટા દલિત નેતા છે. મહેસાણા જિલ્લામાં જન્મેલા જિજ્ઞેશે આઝાદી કૂચ આંદોલન ચલાવી છે. જેમાં તેમણે 20 હજાર જેટલા દલિતોને મૃત પશુઓ ન ઉપાડવા અને હાથથી સફાઈ ન કરવાના શપથ લેવડાવ્યા હતા. 11 ડિસેમ્બર, 1980ના રોજ ગુજરાતના મહેસાણામાં જન્મેલા મેવાણી હવે અમદાવાદના દલિત વર્ચસ્વવાળા વિસ્તાર મેઘાણીનગરમાં રહે છે. તેના પિતા મ્યુનિસિપલ કર્મચારી હતા. મહાત્મા ગાંધીની દાંડી યાત્રામાંથી પ્રેરણા લઈને તેમણે રાજ્યમાં દલિતોની યાત્રાનું પણ આયોજન કર્યું છે જે દલિત અસ્મિતા યાત્રા તરીકે ઓળખાય છે.
 
ચાર વર્ષ સુધી પત્રકારત્વનો અભ્યાસ કરીને મેવાણી કાર્યકર્તા બન્યા. લો કોલેજમાં જોડાયા અને હવે ગુજરાત હાઈકોર્ટમાં પ્રોફેશનલ વકીલ છે. તેઓ સ્વર્ગસ્થ વકીલ અને કાર્યકર્તા મુકુલ સિંહાના જન સંઘર્ષ મંચમાં પણ જોડાયા અને રમખાણો પીડિતો માટે લડાઇ લડી. જીજ્ઞેશે દલિત આંદોલન દરમિયાન ખૂબ જ લોકપ્રિય સ્લોગન આપ્યું હતું. તમે ગાયની પૂંછડી રાખો, અમને અમારી જમીન આપો.
 
2009માં બન્યા દલિતોનો ચહેરો
જિગ્નેશ મેવાણીનું નામ સૌપ્રથમ ચર્ચામાં આવ્યું જ્યારે 2009માં તેમણે ભાજપ સરકાર પર ગુજરાત કૃષિ જમીન ટોચમર્યાદા અધિનિયમ હેઠળ ભૂમિહીન દલિતોને જમીન ન ફાળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમની સંસ્થા જન સંઘર્ષ મંચે આ માટે એક સર્વે કર્યો અને 2015 સુધીમાં તેઓ સક્રિય RTI કાર્યકર્તા બની ગયા. મેવાણીનો વાસ્તવિક રાજકીય ઉદય 2016ની ઘટના પછી થયો હતો, જ્યારે ઉના શહેરમાં દલિતો પર હુમલો થયો હતો. ઉના દલિત અત્યાચાર લડત સમિતિની રચનાથી, મેવાણીએ 30 વિવિધ સંસ્થાઓને એક મંચ પર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે મેવાણી રાષ્ટ્રીય સ્તરે દલિતોનો ઉભરતો ચહેરો બની ગયો હતો.
 
2017ની વિધાનસભા ચૂંટણીમાં AAP અને કોંગ્રેસે આપ્યો હતો સાથ
2017ની વિધાનસભા ચૂંટણીમાં, મેવાણીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વડગામ અનુસૂચિત જાતિ અનામત બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમની ચૂંટણીને ભાજપના અન્યાયી શાસન સામેની લડાઈ તરીકે વર્ણવતા, મેવાણીએ અન્ય પક્ષોને તેમના ઉમેદવારો ઉભા ન કરવા અપીલ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વડગામ બેઠક પરથી પોતાના ઉમેદવારોના નામ પરત ખેંચીને મેવાણીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ ચૂંટણીમાં મેવાણી 18 હજાર મતોથી જીત્યા અને અહીંથી જ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર