આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 182 સીટ પર ચૂંટણી લડશે

રવિવાર, 5 જૂન 2022 (15:31 IST)
એએનઆઈના હવાલે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ એક અહેવાલમાં લખ્યું છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 182 સીટ પર ઉમેદવારો ઊભા રાખશે.
 
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ 03 જૂને માહિતી આપી હતી કે આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટો પરથી ચૂંટણી લડશે.
 
મીડિયા સાથે વાત કરતા સિસોદિયાએ કહ્યું હતું કે "અમે ગુજરાતની તમામ સીટો પર ચૂંટણી લડીશું. હવે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે, હવે તેમની પાસે વિકલ્પ છે."
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાછાપરી બે વાર ગુજરાતની મુલાકાત લીધી હતી.
 
પ્રથમ મુલાકાતમાં ભરૂચમાં આદિવાસીઓને સંબોધ્યા હતા, જ્યારે બીજી મુલાકાત દરમિયાન રાજકોટમાં સભા સંબોધી હતી. કેજરીવાલની રાજકોટ મુલાકાત સૌરાષ્ટ્રના પાટીદારોને આકર્ષવા માટે યોજાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 
તે પહેલાં દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાઓની મુલાકાત લીધી હતી અને શિક્ષણના કથળેલા સ્તરને લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર