નરેશ પટેલે કેમ કહ્યું કે 'હાર્દિક પટેલે મોટી ભૂલ કરી

રવિવાર, 5 જૂન 2022 (14:04 IST)
પાટીદાર અગ્રણી નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે પ્રતિક્રિયા આપી છે.
 
નરેશ પટેલે કહ્યું છે કે, "આંદોલનકારીઓને જો અસામાજિક તત્ત્વો કીધા હોય તો તે હાર્દિકની બહુ મોટી ભૂલ છે. આવા શબ્દો ન નીકળવા જોઈએ, ફરીથી એમને હું અપીલ કરું છું."
 
ઉલ્લેખનીય છે કે ભાજપમાં પ્રવેશ બાદ હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં પાટીદાર અનામત આંદોલન સમયના કેસ સંદર્ભે એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, "હું થોડો સળગાવવા ગયો છું. જે અસામાજિક તત્ત્વોએ આ કામ કર્યું છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી થાય છે અને એમની વિરુદ્ધ કેસ પણ થયા છે."
 
વર્ષ 2015માં અનામત માટે થયેલા પાટીદારોના આંદોલન વખતે સુરક્ષાદળો સાથે થયેલા ઘર્ષણને પગલે પાટીદાર સમાજના અમુક યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.
 
આંદોલન અંતર્ગત લાખઓની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો સમગ્ર રાજ્યમાંથી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા.
 
હાર્દિક પટેલની ધરપકડ બાદ પોલીસ અને પાટીદાર સમાજના લોકો વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
 
વિશ્લેષકો કહે છે કે આ આંદોલનના કારણે જ રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર