ચૂંટણી પંચે મોદીને નોટિસ ફટકારી

સોમવાર, 24 ડિસેમ્બર 2007 (20:45 IST)
PRP.R

નવી દિલ્હી (એજંસી) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે જ્યારે થોડાક દિવસો જ બાકી છે ત્યારે મોદી સાહેબે સૌહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટરને યોગ્ય ગણાવતા સમગ્ર દેશમાં તેનો વિરોધ થયો અને ચૂંટણી પંચની આંખ પણ લાલ થઇ હતી. પરિણામે ચૂંટણી પંચે મોદીને નોટિસ ફટકારી હતી.

આ પહેલાં ગઇકાલે નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશ્નર એન ગોપાલસ્વામીની અધ્યક્ષતામાં પંચની બેઠક મળી હતી, કે જેમાં ચૂંટણી કમિશ્નર ચાવલા અને કુરેશી પણ હાજર રહ્યાં હતાં. પંચે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલો અહેવાલ અને મોદીના ભાષણની સીડી જોઈ હતી.

ચૂંટણી પંચે મોદીને આવતી કાલ શનિવારે બપોરના 11 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે. હવે પંચ એ નિર્ણય કરશે કે મોદી સામે ક્યાં પગલાં લેવા. જો પંચને લાગશે કે આ મતદાતાઓને આકર્ષવા માટે ધર્મનો ઉપયોગ હતો કે પછી ધાર્મિક લાગણીઓને ઉશ્કેરીને કે પછી સાંપ્રદાયિક તણાવ સર્જીને મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ છે તો પંચ મોદીને આ પ્રકારના ભાષણો આપતાં રોકી શકે છે કે પછી જો પંચને આ ગંભીર અપરાધ લાગે તો તેઓ મોદીને ચૂંટણી લડતા અટકાવી શકે છે.
PRP.R

આ પહેલાં કોંગ્રેસ અને ડાબેરીઓએ ચૂંટણી પંચને મોદીના નિવેદનોની સ્વયંભુ નોંધ લઈને કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને પંચે જિલ્લા કલેક્ટર પાસેથી આ અંગે અહેવાલ પણ મંગાવ્યો હતો. પંચે તીસ્ટા સેતલવાડની ફરિયાદને પણ ધ્યાનમાં લીધી છે.

આ બાજુ ભાજપ ચૂંટણી પંચને શું જવાબ આપે છે તે જોવું રહ્યું, કેમ કે એક બાજુ હિન્દુ મતોને આકર્ષવા માટે મોદીએ સૌહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરને યોગ્ય ગણાવ્યું હતું પરંતુ હવે કાનુની મુશ્કેલીઓથી બચવા માટે મોદી તેનો શો જવાબ આપે છે તો જોવું રહ્યું.

મોદીએ માંગરોલમાં ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી સામે જે કોઈ પણ અવજા ઉઠાવશે તેને સાખી લેવામાં આવશે નહીં અને સૌહરાબુદ્દીને તેમ કર્યુ હતુ ત્યારે મારી પોલીસે જે કર્યું તે ઠીક કર્યું કહેવાય.