પાટીદાર નેતાઓ સાથેની મુલાકાત બાદ કોંગ્રેસ પ્રમુખ દિલ્હી દોડ્યા

શનિવાર, 13 મે 2017 (15:02 IST)
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર્સ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત થયા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો છે. પાટીદારો સાથેની મુલાકાત કર્યા બાદ ભરતસિંહ સીધા દિલ્હી દોડી ગયાં હતાં. ભરતસિંહ સોલંકી એકલાં દિલ્હી જતાં અનેક તર્ક-વિતર્કો વહેતાં થયા છે.

દિલ્હી હાઇકમાન્ડ સાથેની બેઠકમાં પાટીદાર સમાજની રજૂઆતો અંગે ભરતસિંહ ચર્ચા કરશે. પાટીદારોની માંગણીઓ સાંભળ્યા બાદ આજે ભરતસિંહ સોલંકી કોંગ્રેસ હાઇકમાન્ડને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે. એવી પણ રાજકીય અટકળો ચાલી રહી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પાટીદારોને વધુ મહત્વ આપવામાં આવી શકે છે. ભરતસિંહની હાઇકમાન્ડ સાથે ત્રીજી વખત બેઠક છે. એક ચર્ચા એવી પણ છે કે ભરતસિંહ અને પાટીદારોને લઇને કૉંગ્રેસમાં ખીચડી પાકી રહી છે. તો બીજી બાજુ હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જે પાણી વગરના સીએમ રૂપાણી છે તેમની સાથે ગમે ત્યારે ગમે તેટલી વાર બેઠક કરવા તૈયાર છું. આ સાથે એવું પણ ચર્ચામાં છે કે રેશ્મા પટેલ અને હાર્દિક વચ્ચે ફરીવાર દરાર પડી છે.

વેબદુનિયા પર વાંચો