શિયાળાની શરૂઆતમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ભયજનક સ્તરે વધી રહ્યું છે

શનિવાર, 4 નવેમ્બર 2017 (14:46 IST)
શિયાળાનાં પ્રારંભ સાથે જ શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે, જેમાં બોપલ જેવા વિસ્તારમાં પણ વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત કથળેલું  ગણાવવામાં આવ્યું છે તો મોટાભાગનાં વિસ્તારોમાં સંતોષકારક કહી શકાય તેવું વાતાવરણ રહ્યું નથી. તેના કારણે મ્યુનિ. અને સફર દ્વારા લગાવવામાં આવેલાં એલઇડી હોર્ડિંગ્સમાં બાળકો, વૃધ્ધો અને ફેફસાની બીમારી ધરાવતાં લોકો માટે ચેતવણીઓ ચમકી રહી છે.

મેગાસિટી બાદ સ્માર્ટ સિટી બનવા આગળ ધપી રહેલાં શહેરમાં વાયુ પ્રદૂષણ વધી રહયું હોવા છતાં તેની માપણી કે નિયંત્રણ માટે કોઇ નકકર તંત્ર કાર્યરત નહોતું. તત્કાલીન કમિશનર ડી.થારાનાં સમયે શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ કેટલા સ્તરે છે તે જાણવા માટે અમુક જગ્યાએ વાયુ પ્રદૂષણ માપક યંત્રો લગાવાયા હતા. ત્યારબાદ કેન્દ્રનાં અર્થ સાયન્સ મંત્રાલયના સિસ્ટમ ઓફ એર કવોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટીંગ એન્ડ રિસર્ચ(સફર)નાં સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં આઠ જગ્યાએ અને ગાંધીનગરમાં બે જગ્યાએ વાયુ પ્રદૂષણ માપક યંત્રો તથા નાગરિકોને વાયુ પ્રદૂષણની જાણકારી કે ચેતવણી આપવા માટે કુલ ૧૨ જગ્યાએ એલઇડી હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. શહેરમાં શિયાળો હજુ પૂરેપૂરો જામ્યો નથી ત્યાં પૂર્વનાં પટ્ટાનાં વિસ્તારોમાં તો સાંજ પડતાં જ પ્રદૂષણનાં ઓળા નીચે ઉતરી આવે છે. સફરનાં આંકડા અનુસાર, શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પીરાણા-નારોલ, દાણીલીમડા, વગેરે વિસ્તારો સૌથી ખરાબ સ્તરનાં વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યાં છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર