વડોદરા ગેંગરેપ કેસ: બે નરાધમ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોધાયો, આજે એફએસએલ રિપોર્ટ આવશે

ગુરુવાર, 18 નવેમ્બર 2021 (10:22 IST)
નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતની ઘટનાના 14 દિવસ બાદ નવસારી રેલવે પોલીસમાં બે નરાધમો સામે પીડિતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા અને દુષ્કર્મનો ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 
 
વડોદરામાં યુવતી પર ગેંગરેપ બાદ વલસાડમાં આત્મહતા કરવાના કેસમાં બુધવારે મૃતકાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રાપ્ત થયો છે. ડીએનએ રિપોર્ટમાં પીડિતાને ઝેર અથવા નશીલા પદાર્થ આપવામાં ન આવ્યા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે આજે પીડિતાનો એફએસએલ રિપોર્ટ આજે આવશે. ત્યારબાદ પીડિતા પર દુષ્કર્મ થયું હોવાની સંભાવનામાં સ્પષ્ટતા થશે. પોલીસે આ કેસમાં 35થી વધુ રિક્શાચાલકો સાથે પૂછપરછ કરી છે. 
 
પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પીડિતાના આંતરિક ભાગોમાં ઇજાના નિશાન હોવાનું જણાવાયું હતું. તેમ છતાં પોલીસ દુષ્કર્મનો ગુનો નોંધ્યા વિના જ તપાસ કરી રહી હતી. રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બે આરોપી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને કથિત દુષ્કર્મનો ગુનો નોંધઇ રહ્યો છે અને બહુ થોડા સમયમાં સમગ્ર કેસનો પર્દાફાશ કરીશું.
 
તમને જણાવી દઇએ કે વિદ્યાર્થીનીએ વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આત્મહત્યા કર્યા બાદ પુરાવા અને ડાયરીના આધારે તેના ઉપર દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. તેમછતાં પોલીસે યુવતીની લાશને પીએમ માટે મોકલી દુષ્કર્મ થયું છે કે નહી તેની તપાસ શરૂ કરી હતે. પોલીસે પોસ્ટમોર્ટમ સેમ્પલ લઇને સુરતની લેબમાં મોકલા હતા, જેનો રિપોર્ટ પ્રાપ્ત થયો છે જેમાં પીડિતાને ઝેર અથવા નશીલા પદાર્થ આપવામાં ન આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર