31 જુલાઇ સુધીમાં સમગ્ર રાજ્યમાં 7,64,777 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા

શનિવાર, 1 ઑગસ્ટ 2020 (16:20 IST)
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે ગુજરાતમાં જન સહયોગથી આરોગ્યલક્ષી જંગ આદરીને ‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્યતંત્રને પ્રેરિત કર્યું છે.ગુજરાતમાં 19 માર્ચ 2020ના કોરોનાનો પ્રથમ કેસ મળી આવ્યો ત્યારથી આરોગ્યતંત્રને સતત ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટથી કોરોના સંક્રમણ-નિયત્રંણ માટે માર્ગદર્શન આપતા રહ્યા છે. વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓને આરોગ્ય પરીક્ષણ-ટેસ્ટિંગ દ્વારા શોધી કાઢી તેમની સમયસર ભાળ મેળવી સારવાર માટે કરેલી તાકીદને પગલે રાજ્યમાં ટેસ્ટીંગની સંખ્યા ઉત્તરોતર વધતી જાય છે. ગઇકાલે 31 જુલાઇ સુધીમાં સમગ્ર રાજ્યમાં 7,64,777 ટેસ્ટ કોરોના અંગેના કરવામાં આવ્યા છે. માત્ર જુલાઇ મહિનામાં જ 3,91,114 ટેસ્ટ આરોગ્ય વિભાગે કર્યા છે. રાજ્યમાં પાછલા પખવાડિયામાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમિતોને શોધી કાઢવા ઝુંબેશ શરૂ કરાવીને ટેસ્ટીંગમાં પણ નોંધપાત્ર વધારો કરાવ્યો છે. તદનુસાર એપ્રિલ મહિનામાં 64,007 ટેસ્ટ થયા હતા તે મે મહિનામાં વધીને 1,47,923 અને જૂનમાં 1,61,733 કોરોના ટેસ્ટ થયા છે. 31 જુલાઇના રોજ ગુજરાતમાં દર 10 લાખે રોજના ટેસ્ટીંગની સંખ્યા 410.83ની રહેવા પામી છે જે ICMRની પર ડે પર મિલિયન ‌140ની ગાઇડ લાઇનના લગભણ ત્રણ ગણી થવા જાય છે. મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યના આરોગ્ય વિભાગ અને મહાનગરોના સ્થાનિક સત્તાતંત્રોને કોરોના નિયંત્રણ સારવાર માટેના ત્વરિત પગલાંઓ-ઉપાયો માટે સતત આપેલા દિશા નિર્દેશોને પરિણામે ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેઇટ અન્ય રાજ્યો કરતા ઘણો ઊંચો 73.09 ટકા છે. તેમજ મૃત્યુદર હવે ઘટીને 3.97 ટકા થઇ ગયો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાની આ મહામારીને ગુજરાતના મહાનગરોમાં નાથવા તેમજ સંક્રમિતો શોધી કાઢી સારવાર-ફોલોઅપ માટે ઘર આંગણે આરોગ્ય તપાસની સુવિધા મહાનગરના સત્તા તંત્રો દ્વારા નાગરિકોને સહજતાથી ઉપલબ્ધ બનાવી છે. ખાસ કરીને અમદાવાદ મહાનગરમાં ઘન્વંતરી રથ, 104 ફિવર હેલ્પલાઇન, સંજીવની વાન અને ખાનગી હોસ્પિટલની કોવિડ-19 નિયંત્રણ, સારવારમાં સક્રિય ભાગીદારી જેવી બાબતો WHOએ વિશ્વના અને દેશના અન્ય શહેરો માટે કોવિડ મેનેજમેન્ટના કેસ સ્ટડી પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત કરવા સુચવ્યું છે. WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વયં આ બધી જ સારવાર-શુશ્રૂષા વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન નિહાળીને અમદાવાદ કોવિડ મેનેજમેન્ટની સમગ્રતયા સરાહના કરી છે. મુખ્યપ્રધાનવિજયભાઇ રૂપાણી પણ સી.એમ.ડેશ બોર્ડ દ્વારા નગરો-ગ્રામિણ ક્ષેત્ર સુધીની હોસ્પિટલોમાં કોરોના સારવાર-તબીબી સુવિધા ટેસ્ટીંગ વગેરેની નિગરાની રાખીને માર્ગદર્શન આપતા રહે છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં કોરોના નિયંત્રણના બધા જ સઘન ઉપાયો અને ઉપચારાત્મક પગલાંઓથી  હવે ગુજરાતે કોરોનાને મ્હાત આપવા કમર કસી  છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર