બર્થડે ના બીજા જ દિવસે જાણીતા ફિલ્મ મેકરનુ હાર્ટ એટેકથી મોત, માઘુરીથી લઈને મિથુન ને પણ આપી ચુક્યા છે કામ

સોમવાર, 9 જૂન 2025 (16:33 IST)
હિન્દી સિનેમાના અનેક યાદગાર ફિલ્મો આપનારા ચર્ચિત નિર્દેશક પાર્થો ઘોષનુ સોમવારે નિધન થઈ ગયુ. 75 વર્ષની વયમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ. હાર્ટ એટેક આવવાથી પાર્થો ઘોષનો જીવ ગયો.   તેમણે 9 જૂન, સોમવારે સવારે અંતિમ શ્વાસ લીધા. 1990 અને 2000 ના દાયકામાં, તેમણે દર્શકોને સસ્પેન્સ, લાગણીઓ અને સામાજિક સંદેશાઓથી ભરેલી વાર્તાઓ આપી. તેઓ ખાસ કરીને તેમની સુપરહિટ ફિલ્મો '100 ડેઝ' અને 'અગ્નિ સાક્ષી' માટે જાણીતા છે. અભિનેત્રી ઋતુપર્ણા સેનગુપ્તાએ તેમના મૃત્યુ વિશે માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે પાર્થોના મૃત્યુથી તે ખૂબ જ દુ:ખી છે.
 
80 ના દાયકામાં કરિયરની કરી શરૂઆત 
 
8 જૂન 1949 ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં જન્મેલા પાર્થો ઘોષનું બાળપણ કલા, સાહિત્ય અને સંગીત વચ્ચે વિત્યું. તેમણે તેમના જન્મદિવસના એક દિવસ પછી જ દુનિયાને અલવિદા કહ્યું. ગઈકાલે તેમનો જન્મદિવસ ઉજવ્યા પછી, તેમણે આજે સવારે દુનિયાને અલવિદા કહ્યું. ફિલ્મો પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને મુંબઈ લાવ્યો. તેમણે 1985 માં બંગાળી સિનેમામાં સહાયક દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. આ પછી તેઓ હિન્દી ફિલ્મો તરફ વળ્યા અને દિગ્દર્શનની બાગડોર સંભાળી.
 
પાર્થો ઘોષને 1991 માં આવેલી ફિલ્મ '100 ડેઝ'થી પહેલી મોટી ઓળખ મળી. માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ અભિનીત આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મને દર્શકો અને વિવેચકો દ્વારા ખૂબ પ્રશંસા મળી. આ ફિલ્મ તમિલ ફિલ્મ 'નૂરવથુ નાલ'ની હિન્દી રિમેક હતી. આ ફિલ્મની સફળતાએ તેમને બોલિવૂડમાં મજબૂત સ્થાન આપ્યું. આ પછી, તેમણે 1992 માં દિવ્યા ભારતી અને અવિનાશ વાધવન સાથે 'ગીત' બનાવી. પરંતુ તેમની કરિયરમાં મોટો વળાંક 1993માં આવ્યો જ્યારે તેમણે મિથુન ચક્રવર્તી અને આયેશા ઝુલ્કા સાથે 'દલાલ' બનાવી, જે બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થઈ.
 
આ ફિલ્મ દ્વારા આપ્યો મોટો સંદેશ 
વર્ષ 1996માં આવેલી અગ્નિ સાક્ષી એ પાર્થો ઘોષને એક સંવેદનશીલ અને ગંભીર વિષયો પર ફિલ્મ બનાવનારા નિર્દેશકના રૂપમા સ્થાપિત કર્યા. નાના પાટેકર, જેકી શ્રોફ અને મનીષા કોઈરાલાની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મની સ્ટોરી ઘરેલુ હિંસા જેવા મુદ્દા પર કેન્દ્રીત હતી અને તેને દર્શકોએ ખૂબ પસંદ કરી.  પોતાના કરિયરમં તેમણે 15 થી વધુ ફિલ્મો નિર્દેશિત કરી. જેમા થ્રિલર, રોમાંસ અને સમાજીક વિષયોની વિવિધતા જોવા મળી.  તેમની અંતિમ ફિલ્મ હતી મોસમ એકરાર કે, દો પલ પ્યાર કે જે 2018મા રજુ થઈ.   
 
સિનેમાઈ વિરાસત 
પાર્થો ઘોષના યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવી હતી. તેમની ફિલ્મ 'અગ્નિ સાક્ષી' ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ દિગ્દર્શક શ્રેણીમાં નામાંકિત થઈ હતી. પાર્થો ઘોષે ભારતીય સિનેમાને એવી વાર્તાઓ આપી હતી, જે આજે પણ દર્શકોની સ્મૃતિમાં જીવંત છે. તેમના મૃત્યુથી ફિલ્મ ઉદ્યોગને ન ભરવાપાત્ર નુકસાન થયું છે, પરંતુ તેમની ફિલ્મોનો વારસો તેમને હંમેશા જીવંત રાખશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર