પીએમ મોદીએ વકફ કાયદા અને ટ્રિપલ તલાક અંગે વિપક્ષ પર તાક્યુ નિશાન

સોમવાર, 3 નવેમ્બર 2025 (18:53 IST)
બિહારના કટિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદાનો મુદ્દો ઉઠાવીને કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ પર નિશાન સાધ્યું છે.
 
હકીકતમાં, ગત અઠવાડિયે, મહાગઠબંધને બિહાર ચૂંટણી માટે પોતાનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે વકફ સુધારા બિલને રોકવામાં આવશે અને વકફ મિલકતોનું સંચાલન પારદર્શક બનાવવામાં આવશે.
 
આ અંગે પીએમ મોદીએ સોમવારે કહ્યું હતું કે, "જ્યારે પણ ભાજપ અને એનડીએ દેશમાંથી ઘૂસણખોરોને બહાર કાઢવાની વાત કરે છે, ત્યારે તેઓ (વિપક્ષ) તરત જ ઘૂસણખોરોના બચાવમાં ઊભા રહે છે."
 
તેમણે કહ્યું, "તેમણે કટ્ટરપંથીઓના દબાણમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ કડક કાયદાનો વિરોધ કર્યો હતો અને કટ્ટરપંથીઓના નવા એજન્ડાને પૂર્ણ કરવા માટે, તેઓ નવા કાયદાને કચરાપેટીમાં ફેંકી દેવાની વાત કરી રહ્યા છે."
 
વડા પ્રધાને કહ્યું હતું કે, "આરજેડી અને કૉંગ્રેસ વિશે એ સત્ય વાત છે કે તેમણે કટ્ટરપંથીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે."
 
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં ચૂંટણીપ્રચાર તીવ્ર બનતો જઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ત્યાં સભાઓ સંબોધી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર