કાપડ બજારમાં પેમેન્ટના મામલે ઘર્ષણ થતાં ચેકથી પેમેન્ટ કરવાનો નિર્ણય

શનિવાર, 12 નવેમ્બર 2016 (14:28 IST)
કાપડબજારમાં પાછલા કેટલાય સમયથી મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા પછી સર્જાયેલી પરિસ્થિતિ અંગે ગઇ કાલે શહેરના કાપડબજારના મોટા વેપારીઓની આ પરિસ્થિતિનો કેવો ઉકેલ લાવવો તે અંગે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મસ્કતી માર્કેટના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગત સહિત મોટી સંખ્યામાં કાપડ અને રેડિમેડ ગાર્મેન્ટના વેપારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સર્વસંમતિથી એવો નિર્ણય લેવાયો હતો કે વર્તમાન પરિસ્થિતિમાં જે પાર્ટીઓ પાસે જૂના બાકી લેણા નીકળે છે તે પાર્ટીઓ જો ઉઘરાણી સમયે રૂ.પ૦૦ અને ૧,૦૦૦ના દરની જૂની ચલણી નોટોની ઓફર કરી વ્યવહાર પતાવવાની વાત કરે છે અને તેને કારણે વેપારીઓમાં ઘર્ષણના બનાવો બને છે. આવા સંજોગોમાં જૂના લેણાના વ્યવહાર સામે ચેક લઇને પતાવટ કરવા મહાજને વેપારીઓને જણાવ્યું છે એટલું જ નહીં જો જૂની નોટો વેપારી આપવાનો આગ્રહ રાખે તો મહાજનને જાણ કરવા પણ જણાવ્યું છે. મહાજને આવા વેપારીઓ સામે પોલીસમાં ફરિયાદ કરવાના પણ સંકેતો આપ્યા છે.

વેબદુનિયા પર વાંચો