અમદાવાદમાં ગણેશ પંડાળોમાં વિવિધ થીમ સાથે ભક્તી, બાપાની આરાધના કરતાં લોકોમાં ઉત્સાહ

મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016 (12:20 IST)
સમગ્ર દેશમાં સોમવારનો દિવસ પાવન તહેવારોનો દિવસ હતો. આ દિવસે ગણેશ ચતુર્થી અને સંવત્સરી એક સાથે હોવાથી લોકોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ ગઈ હતી. તે ઉપરાંત લોકો ગણપતિમય બનીને રસ્તા પર બાપાની મૂર્તિ લઈને પંડાળમાં જતી વખતે ઢોલનગારા અને ડીજેના તાલે નાચતાં ઉજવણી કરી રહ્યાં હતાં. આ વખતે અમદાવાદમાં બે લાખથી વધુ જગ્યાઓ પર બાપાની પધરામણી થઈ છે. ત્યારે લોકોએ અનેક થીમ પર પંડાળ બનાવ્યાં હતાં અને સમાજને એક સારો સંદેશો મળે તે માટે પણ લોકોની તરકીબો વખાણવા લાયક હતી. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વાજતે ગાજતે ગણપતિજીને લાવી પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. જ્યાં આગામી 10 દિવસ સુધી દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અગાઉ આ તહેવારનું મહત્વ મહારાષ્ટ્રમાં વધુ હતું પરંતુ હવે તેવું રહ્યું નથી અને હવે તો તમામ લોકો ભગવાન ગણેશજીને ઘરે લાવી તેમની પૂજા અર્ચના કરતા હોય છે.  અમદાવાદમાં દક્ષિણી સોસાયટી પાસે આવેલ સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળે રાત્રિના આકાશની થીમ પર બનાવેલા પંડાલમાં ગણેશજીની સ્થાપના કરી છે. આ મંડળ છેલ્લા 82 વર્ષથી વિવિધ થીમ બનાવીને સાર્વજનિક ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે.શાહપુર સદુમાતાનીપોળમાં કાગળના ગણપતિજી છે. અહીં વૃક્ષો કાપતા કઠિયારાને સમજાવતા ગણેશજીની થીમ છે.  દરિયાપુરના એક પંડાલમાં ‘બેટી બચાવો’ થીમ રાખવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો