બે વર્ષ પછી ફુલડોલ ઉત્સવનુ આયોજન થતા ભગવાનને મળવા ભક્તો થયા ઉતાવળા, ઉત્સવ પહેલા જ ભક્તોની ઉમટી ભીડ

બુધવાર, 16 માર્ચ 2022 (15:32 IST)
ગુજરાતની મુખ્ય તીર્થ સમાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી યાત્રાધામ દ્વારકામાં છેલ્લાં બે વર્ષમાં કોરોના કાળના કારણે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જોકે, આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા અને રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરતા દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે.
 
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિઓ દ્વારકા ખાતે પહોંચી રહ્યા છે. દ્વારકાની બજારોમાં તેમજ દ્વારકાધીશના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેને લઈ તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ફુલડોલ ઉત્સવ માટે 1200 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવશે. ત્યારે દ્વારકાધીશની આરતી સમયે ભગવાન દ્વારકાધીશ ઉપર ચલણી નોટોનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો.
 
દ્વારકાધીશના મંદિરમાં ભક્તોએ રંગ ઉત્સવ મનાવી રંગેચંગે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકા નગરી આખી કૃષ્ણનગરીના રંગમાં રંગાઈ ગઈ છે અને મોટી સંખ્યામાં ભાવિક ભકતો પગપાળા દ્વારકામાં આવીને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ફૂલડોલ ઉત્સવને લઈ મોટી દ્વારકા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે સમગ્ર દ્વારકાની બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર