અભિજીત મુખર્જીએ ટ્વીટ કર્યુ, 'ભારે દિલથી તમને જણાવી રહ્યો છુ કે મારા પિતા શ્રી પ્રણવ મુખર્જીનુ આર. આર. હોસ્પિટલના ડોક્ટરોના સર્વોત્તમ પ્રયત્ન અને આખા દેશના લોકોની પ્રાર્થના છતા નિધન થઈ ગયુ છે. હુ આપ સૌનો હાથ જોડીને આભાર માનુ છુ.
પ્રણવ મુખરજીના નિધન પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અગ્રણી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું છે કે, 'પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના અવસાન વિશે સાંભળીને દિલને આધાત લાગ્યો છે. તેમનુ અવસાન એક યુગનો અંત છે. હું શ્રી પ્રણવ મુખરજીના કુટુંબ, મિત્રો અને દેશવાસીઓ પ્રત્યે ખૂબ ઊંડો શોક સંવેદના વ્યક્ત કરું છું. '
તેમણે આગળ લખ્યું, 'ભારતના પ્રથમ નાગરિકના રૂપમાં, તેમણે લોકો સાથે જોડાવા અને રાષ્ટ્રપતિ ભવન સાથે લોકોની નિકટતા વધારવા માટે સભાન પ્રયાસો કર્યા. તેમણે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા જનતા માટે ખોલ્યા. રાષ્ટ્રપતિ માટે 'મહામહિમ' શબ્દની પ્રથાને સમાપ્ત કરવાનો તેમનો નિર્ણય ઐતિહાસિક છે.
આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે કહ્યું હતું કે 84 વર્ષીય મુખર્જીની સારવાર કરતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ કોમામાં છે અને વેન્ટિલેટર પર છે. પૂર્વ રાષ્ટ્રપતિને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના મગજની સર્જરી કરાવી હતી. બાદમાં, તેમણે ફેફસામાં પણ ચેપ લાગ્યો હતો.