ફાયરની ટીમને એક મૃતદેહ મળી આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બાવળા નજીક શરી પાટીયા પાસે ઓક્સિજનના સિલિન્ડર ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગવાને કારણે બ્લાસ્ટ પણ થયો હતો. જેમાં પાંચેક વ્યક્તિ દાઝી ગયા હતાં અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ફાયર વિભાગની ટીમને કોલ મળતાંની સાથે જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ હતી.
આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ
ફાયર વિભાગની ટીમને ટ્રકમાં લાગેલી આગ કાબુ કરતાં એક મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રકમાં આગ લાગતાં શરી પાટીયા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાં બ્લાસ્ટ થતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.