રાજકોટના PSI મેહૂલ મારુએ મોડી રાત્રે આપઘાત કર્યો

શુક્રવાર, 31 માર્ચ 2017 (14:31 IST)
રાજકોટના PSI મેહૂલ મારુએ રાજકોટમાં મોડી રાત્રે આપઘાત કરી લીધો હતો. તેમણે રાત્રે જ ગળે ફાંસો લગાવીને જિંદગીને ટૂંકાવી દીધી હતી. કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી. તેમની સામે રાજમોતી મીલના બ્રાંચ મેનેજરની હત્યા સંદર્ભે કોર્ટના આદેશ મુજબ એસીપી દ્વારા તપાસ ચાલુ હતી. તો વર્ષની શરૂઆતમાં પ્રેમિકા ઘરે જઈને ધાંધલ ધમાલ કરી હાથની નસ કાપી નાખી હતી.

આપઘાત કરી લેનાર પીએસઆઈ મેહૂલ મારુ પરિણીત હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. તેઓ રાજકોટ રહેતા હતા. મોડી રાત્રે આપઘાત બાદ તેમના મૃતદેહને તેમના વતન પાલિતાણા ખેસડાવામાં આવ્યો હતો. પીએસઆઈએ રાજકોટના રામનાથ પરા પોલીસ લાઈનમાં આવેલા તેમના નિવાસે આપઘાત કરી લેતા તેમનું રાતોરાત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરીને તેમના મૃતદેહને પાલિતાણામાં આવેલી યોગેશ્વર સોસાયટી સ્થિત તેમના નિવાસે ખસેડવામાં આવ્યો હતો. પાલિતાણામાં જ તેમની અંતિમવિધિ કરવામાં આવશે. ઉપલેટામાં પ્રેમિકાના ઘરે હંગામો કરનાર રાજકોટના PSI મારુને રાજકોટ પોલીસ કમિશ્નરે સસ્પેન્ડ કર્યો હતા. આ સિવાય તેઓ રાજમોતી ઓઈલ મિલના અમદાવાદના મેનેજર દિનેશ દક્ષિણી કેસમાં ફસાયા હતા.

વેબદુનિયા પર વાંચો