ગાંધીનગરમાં કોંગ્રેસ જનઆક્રોશ રેલીમાં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું ,પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ

મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (14:20 IST)
આજે ગાંધીનગરમાં કોંગ્રેસ જનઆક્રોશ રેલીમાં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગર સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા. કોંગ્રેસી નેતાઓએ રેલીને સંબોધન કર્યા પછી રેલી વિધાનસભા તરફ વળી હતી. ત્યારે મંજૂરી ન હોવાથી પોલીસે કાર્યકરોને અટકાવ્યા હતા. જોકે, કાર્યકરોએ વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કરતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ પછી પોલીસે શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, મધુસુદન મિસ્ત્રી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.વિધાનસભા સત્રનાં દિવસે જ કોંગ્રેસનાં જલદ કાર્યક્રમનો લઇને પોલીસે સતર્ક બની છે.  સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન 2 કંપની એસઆરપી સાથે કુલ 2000 જેટલા સુરક્ષા જવાનો સ્થિતીને સંભાળવા તૈનાત કરાઈ છે.  સમગ્ર કાર્યક્રમ પર  સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ સુપર વિઝન રાખી રહ્યાં છે.પોલીસ દ્વારા સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવાયો છે, સાથે જ જો વધુ પડતો વિરોધ થાય તો તેને ડામવા વોટર કેનન પણ તૈયાર રખાયું છે.

વેબદુનિયા પર વાંચો