વાઈબ્રન્ટ ગુજરાતમાં વાસ્તવમાં રૃા.૩૪,૨૩૪ કરોડનું જ રોકાણ થયું હોવાનો દાવો

શનિવાર, 11 માર્ચ 2017 (13:03 IST)
વાઈબ્રન્ટ ગુજરાતમાં કરવામાં આવેલા રૃા.૮૬.૮૩ લાખ કરોડના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ સામે વાસ્તવમાં અત્યાર સુધીમાં રૃા. ૩૪૨૩૪ કરોડનું જ રોકાણ આવ્યું હોવાનો આક્ષેપ ગુજરાત કોન્ગ્રસના નેતાઓએ આજે રાજ્ય વિધાનસભામા કર્યો હતો. છેલ્લી ત્રણ વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાત સરકારે રૃા. ૧૩૬.૯૫ કરોડનું આંધણ કર્યું છે તેની સામે વાઈબ્રન્ટ ગુજરાતમાં થયેલા રૃા. ૮૬.૮૩ લાખ કરોડના થયેલા એમ. ઓ.યુ.માંથી વાસ્તવમાં કેટલું મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે અને તેને કારણે કેટલી રોજગારી નિર્માણ થઈ છે તે અંગેના આંકડાઓ જાહેર કરવાની માગણીક રવામાં આવી છે. બીજું વાઈબ્રન્ટ ગુજરાતમાં એમ.ઓ.યુ.કરનારાઓને સરકાર તરફથી મદદ કરવામાં આવી છે, તેમ છતાંય તેમણે ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું પાલન જ ન કર્યું હોવાના આક્ષેપો પણ આજે રાજ્ય વિધાનસભામાં કોન્ગ્રેસી ધારાસભ્યોએ કર્યા હતા.

સાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કુલ ૩૮૫૨૮ એમ.ઓ.યુ.થયા અને ૫૧૩૦૪ પ્રોજેક્ટ નાખવા માટે ઔદ્યોગિક સાહસિકો આગળ આવ્યા હતા. તેમાંથી ૮૬૦૨ પ્રોજેક્ટ ડ્રોપ થઈ ગયા છે. ચીફ સેક્રેટરીએ આઠમા વાઈબ્રન્ટ સમિટ પછી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું ચે કે રિયલ મૂડીરોકાણ રૃા.૩૪,૨૩૪ કરોડનું થયેલું છે.  આ સંજોગમાં ૮૬.૮૩ લાખ કરોડનું મૂડી રોકાણ ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું તે અંગે સરકારે ફોડ પાડવો જોઈએ. આ વાઈબ્રન્ટના તાયફા પાછળ શરકારે અત્યાર સુધીમાં રૃા. ૧૩૬.૯૫ કરોડનું આંધણ કર્યું છે. તેની સામે મધ્યાહ્ન ભોજન માટે બાળકો પાછળ એક દિવસના માત્ર રૃા.૩.૬૦ અને છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓના મધ્યાહ્ન ભોજન માટે દિવસના રૃા.૫.૪૫ જ ખર્ચાય છે.

વેબદુનિયા પર વાંચો