9મી નવેમ્બર 2023ના રોજ બેંગલુરુમાં વાઈબ્રન્ટ ગુજરાત રોડ શો યોજાશે

બુધવાર, 8 નવેમ્બર 2023 (09:26 IST)
Vibrant Gujarat
- ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર બાબતોના માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત રોડ શોનું નેતૃત્વ કરશે*
 
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિના ભાગરૂપે, રાજ્ય સરકાર ઉદ્યોગ અને વેપારી અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરવા અને જાન્યુઆરી 2024માં આવનારી સમિટ માટે તેમને આમંત્રિત કરવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરી રહી છે. નવી દિલ્હીમાં કર્ટેન રેઈઝર ઇવેન્ટની સફળતા પછી, મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ અને લખનૌમાં રાષ્ટ્રીય રોડશો અને જાપાન, જર્મની, ઇટાલી, ડેનમાર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુએઈ, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને યુએસએમાં આંતરરાષ્ટ્રીય રોડશોના આયોજન બાદ ગુજરાત સરકાર હવે 9મી નવેમ્બર 2023ના રોજ બેંગલુરુમાં રાષ્ટ્રીય રોડ શો યોજવા તૈયાર છે.
 
 આ રોડ શોનું નેતૃત્વ ગુજરાત સરકારના ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત કરશે. તેનો હેતુ VGGS 2024 દ્વારા ગુજરાતને 'ગેટવે ટુ ધ ફ્યુચર' તરીકે ઉજાગર કરવાનો છે. 
 
આનાથી IT અને ITeS, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને ડિફેન્સ, અને બાયોટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારના ક્ષેત્રો શોધવા માટે અને GIFT સિટી, ધોલેરા SIR અને બાયોટેક પાર્ક જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સમાં રોકાણ આકર્ષવા વ્યવસાયો અને કંપનીઓ સક્ષમ બનશે. 
 
FICCI કર્ણાટક સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને જ્યોતિ લેબોરેટરીઝના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે. ઉલ્લાસ કામથના સ્વાગત પ્રવચન સાથે રોડ શોની શરૂઆત થશે. આગળ, વાઇબ્રન્ટ ગુજરાત પરની ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ દર્શાવવામાં આવશે, અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, IAS, ડૉ. રાહુલ ગુપ્તા ગુજરાતમાં બિઝનેસની તકો વિશે પ્રેઝન્ટેશન આપશે. ક્રાફ્ટ હેઈન્ઝ કંપનીના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરના ડાયરેક્ટર શ્રી વિરાજ મહેતા અને આઈબીએમ ક્લાઉડ અને કોગ્નિટિવ સોફ્ટવેરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગૌરવ શર્મા, એક્સપિરિયન્સ શેરિંગ સેશન દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના તેમના અનુભવો જણાવશે. ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પણ આ દરમીયાન સંબોધન કરશે. કાર્યક્રમનું સમાપન ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર IAS શ્રી તુષાર ભટ્ટ દ્વારા આભાર વ્યક્ત કરીને કરવામાં આવશે. 
***

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર