હેપી મકરસંક્રાંતિ - મકરસંક્રાંતિ સાથે જોડાયેલી જાણવા જેવી વાતો

શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (10:35 IST)
આશરે છ હજાર વર્ષ પહેલાં ગ્રીક વિજ્ઞાની એસેકાઈટૂસને પતંગ બનાવવાનો વિચાર આવ્યો હતો.. ત્યાર પછી સો વર્ષે ચીનમાં પતંગ બનાવવાની શરૂઆત થઈ અને ચીનમાંથી સાધુઓ પતંગકળાને જાપાનમાં લઈ ગયા.
પ્રાચીન સમયમાં જાસુસી માટે સૈનિકોને પતંગ ઉપર બેસાડીને બંધ કિલ્લામાં પ્રવેશ કરાવાનો તુક્કો લડાવાતો. આફતગ્રસ્તોએ પતંગો પર સંદેશાઓ લખી અને દોરો કાપીને સહાય મેળવ્યાના કિસ્સાઓ પણ નોંધાયા છે.
જુના કાળમાં હવામાનના અભ્યાસુઓ પતંગને હવામાનના અભ્યાસનું માધ્યમ બનાવતા હતા.
આ દિવસે મહાભારતનું યુદ્ધ પુરૂં થયું હતું. ઈચ્છા મૃત્યુના વરદાનથી ભીષ્મ પિતામહે મૃત્યુ માટે આ શુભ દિવસની પસંદગી કરી હતી.

ચીનમાં દરેક કુટુંબમાં બાળક સાત વર્ષનું થાય ત્યાં સુધીમાં એકવાર પતંગનો દોર આકાશમાં ખૂબ ઊંચે ઉડાવીને તેનો દોર કાપી નાખવામાં આવે છે. આકાશમાં ઊંચે ઉડી રહેલો પતંગ બાળકના રોગ અને દુર્ગુણને પણ લઈને ઉડી જાય છે એવી માન્યતા આની પાછળ રહેલી છે.
જાપાનમાં નવજાત બાળકનું નામકરણ કરીને તેનું નામ પતંગ પર લખી પતંગને ઊંચે ઉડાવવામાં આવે છે. અને જાપાનના લોકો બાળકોને ભૂતપ્રેતથી બચાવવા માટે નવજાત બાળકને પોતાની પીઠ પર લટકાવીને પતંગ ઉડાડે છે.

કોરિયામાં લશ્કરના અધિકારીઓ સૈનિકોનો જુસ્સો અને હિંમત જાળવવા રાત્રે પતંગની સાથે મીણબત્તી સળગાવીને કે દીવો લગાડીને આકાશમાં ઊંચે પતંગ ઉડાવે છે.

ભારતમાં એવી માન્યતા છે કે આ દિવસે વાસદાન કરવાથી અધિક પુણ્ય મળે છે અને સુર્યને દૂધ વડે સ્નાન કરાવવાથી સુર્યલોકની પ્રાપ્તિ થાય છે. શિવભકતો ગાયના ઘીથી શિવજીને અભિષેક કરે છે એનાથી મહાફળ મળે છે. દેવોને સફેદ તલનું અને પિતૃઓને ખુશ કરવા કાળા તલનું દાન અપાય છે. આ દિવસે દાન-પુણ્યનું વિશેષ મહત્ત્વ છે.

મકરસક્રાંતિના આગલા દિવસે, તે દિવસે અને તે પછીના દિવસે એમ ત્રણ ઉપવાસ કરવા લાભદાયી છે. ધર્મશાસ્ત્રોએ મકરસક્રાંતિના દિવસે વિઘાર્થીઓને ભણવામાંથી ખાસ મુકિત આપવાની ભલામણ કરી છે.


સાભાર - શૈલેષ ભટ્ટ 

વેબદુનિયા પર વાંચો