તો આનંદીબેન ફરીવાર સીએમ બનશે? અમિત શાહની ફરી મુલાકાતથી ચર્ચાઓ

મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (17:23 IST)
રાજ્ય વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. શનિવારે રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઘરે જઈ મુલાકાત લેતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૃ થઈ ગઈ છે. ગાંધીનગર ર્સિકટ હાઉસ સામે આવેલા આનંદીબહેન પટેલના નિવાસસ્થાને લગભગ અઢી કલાક ચાલેલી ભાજપ પ્રમુખ અમિત શાહ અને આનંદીબહેનની મુલાકાતે માત્ર સૌજન્ય મુલાકાતથી આગળ વધીને એક રાજકીય મુલાકાતના રૂપમાં પરિણમી હોવાનું જાણવા મળ્યું છે.

પાટીદારોને મનાવવાની એકેય કોશીશ સફળ નથી થઈ રહી, ત્યાં દલિતો પર છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા હુમલાને કારણે દલિતોએ પણ ભાજપથી અંતર સાધી લીધું છે. આ કપરી સ્થિતિમાં ભાજપને ફરી આનંદીબેનને શરણે જવું પડ્યું હોવાની ચર્ચા છે. આનંદીબેન અને અમિત શાહ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યું છે તે હવે નવી વાત નથી, પરંતુ જે રીતે પીએમના ગુજરાતમાં થતાં કાર્યક્રમમાં આનંદીબહેનની હાજરી દેખાય છે તે જોતા લાગે છે કે, પીએમ ખુદ નથી ઈચ્છતા કે બહેનનું ગુજરાતમાં વજન ઓછું થાય. હવે ચૂંટણી નજીક છે ત્યારે હાલ તો સીએમ બદલવા શક્ય નથી, પરંતુ ચૂંટણી બાદ આનંદીબહેન ગુજરાતની ધૂરા સંભાળે તેવી જોરદાર અટકળો પ્રવર્તી રહી છે.રાજ્યની એજન્સીઓ મારફતે કરાયેલા સર્વેક્ષણમાં પણ ભાજપને 100થી ઓછી બેઠકો મળે તેવા રિપોર્ટથી ભાજપનું મોવડીમંડળ ચોંકી ઊઠયું છે. જો કે અત્યારે ભાજપ મોવડીમંડળને સતાવતો સવાલ રાજ્યના પાટીદારો ભાજપની સાથે રહેશે કે નહીં ? તે છે. ભાજપ સરકારે પાટીદાર આંદોલનકારી નેતાઓ સાથે તેમની માગણીઓ સંતોષતી જાહેરાત કર્યા પછી પણ હજુ પાટીદારોનો રોષ શાંત થયો નથી તેવું બહાર આવ્યું છે. ભાજપની નેતાગીરીને સુરત ખાતે યોજાયેલ પાટીદાર રાજસ્વ સંમેલનમાં જીતુ વાઘાણીના સન્માન સમારોહમાં અમિત શાહની હાજરીમાં થયેલા પાટીદારોના ઉગ્ર દેખાવોની કડવી યાદો ફરી પાછી તાજી થઈ રહી છે. તાજેતરમાં ગૌરવ યાત્રા દરમિયાન પણ ભાજપના નેતાઓને પાટીદારોના રોષનો પરચો મળી રહ્યો છે. વડોદરા જિલ્લામાં પણ ગૌરવયાત્રા સામે દેખાવો કરતા ૩૦થી વધારે યુવાનોની ધરપકડ પોલીસે કરવી પડી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર