રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ ગરમીથી રાહત રહેવાની શક્યતા

સોમવાર, 6 મે 2019 (11:49 IST)
ગુજરાતમાં નાગરીકોને ગરમીનો પારો નીચે જતાં બે ત્રણ દિવસથી રાહત થઈ રહી છે પણ હવામાન વિશેષજ્ઞોનું કહેવું છે કે હજી એક સપ્તાહ આ પ્રકારનું વાતાવરણ રહેશે અને નાગરીકોને લૂ લગાડતી ગરમીથી રાહત રહેશે. ગુજરાતમાં  8થી 12 મે દરમિયાન અરબી સમુદ્રમાં મધ્ય લેવલ પર ડેવલપ થનારા ટ્રફને કારણે બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે છાંટા કે ઝાપટાં પડવાની શક્યતા છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરોથી અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવનો ચાલુ રહેતાં ગરમીથી રાહત રહી હતી. અમદાવાદનું મહત્તમ તાપમાન 40.4 અને લઘુતમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચારથી પાંચ દિવસ શહેરમાં ગરમીથી રાહત રહેવાની શક્યતા છે. સાઈક્લોનિક સરક્યુલેશનથી શરૂ થયેલાં ઠંડા પવનોથી રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. રાજસ્થાનની સાથે ગુજરાતમાં સક્રિય થયેલાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી સોમવારે બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. આગામી 9 મેનાં રોજ મધ્ય લેવલમાં ટ્રફ સર્જાશે અને ગુજરાત સુધી લંબાશે, જેને કારણે વાતાવરણમાં પલટો આવી વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર