ગુજરાતમાં સુરતથી લઈ કંડલા સુધીના બંદરો પર ખતરો, આવનારાં વર્ષોમાં અનેક વિસ્તારો પર પાણી ફરી વળશે

રવિવાર, 19 ફેબ્રુઆરી 2023 (14:14 IST)
ભારતનાં મુંબઈ, ચેન્નઈ, કોલકત્તા, કોચી સહિતનાં દરિયાકિનારે આવેલાં અનેક શહેરો પર આવનારા દિવસોમાં ખતરો તોળાઈ રહ્યો છે.
 
વિશ્વ હવામાન સંસ્થાએ જારી કરેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરિયાની જળસપાટીમાં થઈ રહેલો વધારાને કારણે આ શહેરોનાં અનેક ભાગો દરિયામાં ગરકાવ થવાની સંભાવના છે.
 
ભારત, ચીન, બાંગ્લાદેશ અને નેધરલૅન્ડસના દરિયાકિનારે આવેલા અનેક વિસ્તારો આવનારા દાયકાઓમાં પાણીમાં સમાઈ જશે તેવી ચેતવણી આ રિપોર્ટમાં આપવામાં આવી છે.
 
આ પહેલાં આવેલા આઈપીસીસીના રિપોર્ટમાં પણ ચેતવણી આપવામાં આવી હતી કે દુનિયામાં સતત વધી રહેલા તાપમાનને કારણે દરિયાનું જળસ્તર વધી રહ્યું છે. જેના કારણે અનેક વિસ્તારો પર ખતરો તોળાઈ રહ્યો છે.
 
જળવાયુ પરિવર્તનને કારણે દરિયાનું જળસ્તર વધી રહ્યું છે અને તેના કારણે ભારતના દરિયાકિનારે વસતા લાખો લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.
 
ગુજરાતના દરિયાકિનારા પાસે આવેલા વિસ્તારો પર પણ સતત વધતા જળસ્તરથી ખતરો પેદા થઈ રહ્યો છે.
 
તા. 14મી ફેબ્રુઆરીના જ્યારે દુનિયા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહી હતી, ત્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝ સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદને જળવાયુ પરિવર્તનને કારણે ભવિષ્યમાં ઊભી થનારી "કલ્પી ન શકાય તેવી" પરિસ્થિતિનું ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું હતું.
 
દરિયાનું જળસ્તર અગાઉ કરતાં ત્રણગણી ઝડપે વધી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને અમુક તો વિસ્તારોનું અસ્તિત્વ નક્શા પરથી ભૂંસાઈ જશે.
 
જળવાયુ પરિવર્તનને કારણે જે-જે દેશોને અસર થશે, તેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ચીન અને નૅધરલૅન્ડ જેવા દેશો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરશે અને પૃથ્વી પર વસતા દર 10માંથી એક વ્યક્તિને તેની માઠી અસર થશે.
 
ગુજરાતમાં જળથળ થવાને કારણે દ્વારકા ડૂબી ગયું હોવાની પ્રચલિત માન્યતા છે, પરંતુ જો આવી જ રીતે જળસ્તર વધતું રહ્યું તો આ યાદીમાં વધુ કેટલાંક શહેરોનાં નામ ઉમેરાઈ શકે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર