સમય મર્યાદા પૂર્ણ થઇ જવાથી ફી ઘટાડા અંગેનો પ્રશ્ન ચર્ચામાં આવી શક્યો નથી :- શિક્ષણમંત્રી

શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (10:12 IST)
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં આજે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો ‘ખાનગી સ્કૂલોમાં ફીમાં ઘટાડો કરવાની બાબતનો ટુંકી મુદ્દતનો પ્રશ્ન ગૃહમાં નિયમાનુસારની પ્રશ્નકાળની સમાયાવધિ પૂરી થઇ જતા અધ્યક્ષશ્રીની સૂચના મુજબ ચર્ચામાં લઇ શકાયો નથી. શિક્ષણમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારને કોઇ બાબત છુપાવવાની કે ગૃહમાં ચર્ચામાં ન લાવવાની કોઇ વાત જ નથી. 
 
શિક્ષણમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં આ સમગ્ર બાબતે રાજ્ય સરકાર શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે કોઇ વૈમનસ્ય ન સર્જાય તેમજ સમન્વય સચવાઇ રહે તે પ્રકારના પ્રયાસો કરે છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું કે, આ હેતુસર વહેલામાં વહેલી તકે રાજ્ય સરકાર આ બેય પક્ષકારો સાથે બેસીને ગુજરાત હાઇકોર્ટે સુચવ્યા મુજબના માર્ગે યોગ્ય નિર્ણય કરવા પ્રતિબદ્ધ છે.
 
શિક્ષણમંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યના શાળા સંચાલકો તથા વાલીઓ બેયનું હિત સચવાય અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પાલન થાય તે માટે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં સર્વ સંમતિથી પ્રયાસ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર