ચોટીલા મંદિરનો રોપ- વે પ્રોજેક્ટ રોકવાની અરજી હાઈકોર્ટે ફગાવી, કહ્યું આ પ્રોજેક્ટ નહીં અટકે

ગુરુવાર, 4 મે 2023 (19:03 IST)
Chotila temple- વિજય રૂપાણી સરકાર દ્વારા ચામુંડા માતા મંદિર ચોટીલા ખાતે રોપ-વે બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે માટેના ટેન્ડર બહાર નીકળ્યા હતા. આ ટેન્ડરમાં મે.માર્સ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને પ્રોજેકટની ફાળવણી કરવામાં આવી હતી. જેની સામે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ, ચોટીલા દ્વારા હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી.અગાઉ હાઇકોર્ટની સુનવણીમાં શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, આ રોપ-વેનો કોન્ટ્રાક્ટ જે કંપનીને સોંપવામાં આવ્યો છે. તે કંપની આ કામ માટે બિન-અનુભવી છે. જો તે આ કામ કરશે તો મોરબી બ્રિજ હોનારત જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે. જો કે, હાઇકોર્ટે છેલ્લી સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને બીરેન વૈષ્ણવની બેંચે આજે ચુકાદો જાહેર કરતા અરજદારની અરજી ફગાવી દીધી છે. હવે આ કાર્ય પર કોઈ અડચણ નડશે નહીં. આ પ્રોજેક્ટ પાછળ 20 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ચોટીલા મંદિરમાં જવા બનાવાયેલા રોપ વે મામલે હાઈ કોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી, જેની સુનાવણીમાં રજૂઆત કરાઈ હતી કે, રોપ વે માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે યોગ્ય મરામત કરાવતી નથી. શ્રદ્ધાળુઓના જીવ સાથે જોખમ જોડાયેલું છે. આ કેસમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સરકારને સવાલ કર્યો હતો કે, ’મોરબી જેવી દુર્ઘટના બની છે, છતાં તમે ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર કોન્ટ્રાક્ટ કેમ આપી દો છો? આવી કંપનીને લીધે દુર્ઘટના બને છે.’ શ્રી ચામુંડા માતાજી ટ્રસ્ટે અરજીમાં રજૂઆત કરી હતી કે, સરકારે ચોટીલામાં રોપ વેનો 500 કરોડનો કોન્ટ્રાક્ટ કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર એક માનીતી કંપનીને આપી દીધો છે. આ જ કંપનીને કાયમ રિપીટ કરાય છે. મોરબીમાં ઓરેવા કંપનીને પુલ બનાવવાનો કોઈ અનુભવ ન હતો, તે રીતે આ કંપની પાસે પણ રોપ વે બનાવવાનો કોઈ અનુભવ નથી. ચોટીલામાં દર વર્ષે 25 લાખ લોકો દર્શનાર્થે આવે છે. હાલ રોપ વે જે ટેક્નોલોજીથી ચાલે છે તે જૂની પદ્ધતિ મુજબના છે, જે જોખમી છે. ખંડપીઠે આ મામલે વધુ સુનાવણી 16મી ફેબ્રુઆરીએ રાખી હતી. મંદિર ટ્રસ્ટે રજૂઆત કરી હતી કે, રોપ વે અંગે સરકારને 2008થી ઘણી રજૂઆત કરી છે, પરતું ગંભીર પગલાં લેવાયાં નથી. અનેક વખત રોપ વેનાં જોખમ વિશે રજૂઆત કરવા છતાં સરકારે 15 વર્ષથી એકની એક કંપનીને જ રોપ વેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. જ્યારે કંપનીએ દલીલ કરી હતી કે, ગુજરાત રોપ વે એક્ટના કાયદા હેઠળ કોઈ પણ કંપની રોપ વેનો કોન્ટ્રાકટ લેવા અરજી કરી શકે છે. તેના માટે કોઇ ટેન્ડર પ્રક્રિયાની જરૂર રહેતી નથી. ચોટીલાના પ્રખ્યાત ચામુંડા માતા મંદિર પર જવા માટેના રોપ વે મામલે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પર ગયા મહિને સુનાવણી પૂર્ણ થઈ હતી. હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. રોપ વે મામલે અરજદારે ઉઠાવેલા વાંધાને સરકારે ફગાવી દેતા તેમને સાંભળવા દાદ માગવામાં આવી હતી. અરજદારે એવી દલીલ કરી હતી કે સરકારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપી દીધો છે તે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધનો છે. જે કંપનીને કોન્ટ્રાકટ આપ્યો છે તે કંપનીને રોપ વે બનાવવાનો કોઇ અનુભવ નથી. સરકાર તરફે એવી દલીલ કરાઇ હતી કે, સરકારે હાઇકોર્ટના આદેશ મુજબ વાંધાઓને સાંભળ્યા છે પણ તેમના વાંધા ટકવાપાત્ર નહીં હોવાથી ફગાવી દેવાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર