સ્કૂલ વાન ચાલકોની દાદાગીરી,પોલીસે પોતાની વાનમાં બાળકોને સ્કૂલે પહોંચાડ્યા

બુધવાર, 19 જૂન 2019 (14:37 IST)
અમદાવાદમાં સ્કૂલવાનમાંથી બાળકો પડી જવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નિકળ્યો છે. આ ઘટના બાદ પોલીસે ઠેરઠેર સ્કૂલવાન ચાલકોને દંડનીય કાર્યવાહી કરીને સબક શીખવ્યો હતો હવે આ સ્કૂલવાન ચાલકોની દાદાગીરી સામે વડોદાર ટ્રાફિક પોલીસે ગાંધીગીરી કરી અને બાળકોને સમયસર શાળાએ પહોંચાડ્યા હતા. વાનચાલકોની હડતાળના પગલે શાળાએ પહોંચવામાં મોડું ન થાય તેથી વડોદરા ટ્રાફિક પોલીસે પોતાની 41 PCR વાન, 62 મોટરસાયકલ અને 10 સરકારી જીપોનો ઉપયોગ કરી અને 250 વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડ્યા હતા.પોલીસ બાળકોને સવારે તેમની ઘરેથી પોતાના વાહનોમાં લઈ અને શાળાએ લઈ ગયા હતા. વડોદરા ટ્રાફિક પોલીસે બે દિવસની હડતાળના પગલે પોલીસે આ આયોજન કર્યું હતું.વડોદરા ટ્રાફિક પોલીસના એસીપી અમિતા વાનાનીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરના માર્ગદર્શન દ્વારા વાનાનીએ જણાવ્યું કે સવારથી 92 પોલીસ અધિકારી પેટ્રોલિંગમાં હતા. તમામ બાળકોને સ્કૂલે પહોંચાડવા અને ઘરે પરત મોકલવા માટે આ કામગીરી કરવામાં આવી. જ્યાં સુધી વાનચાલકોની હડતાળ રહેશે ત્યાં સુધી પોલીસ મૂકવા અને લેવા આવશે.અમિતા વાનાનીએ વધુમાં જણાવ્યું કે સરકારના પરિપત્ર મુજબ તમામ ઘારાધોરણનું પાલન વાનચાલકોએ કરવું પડશે, અમે વાનચાલકો, શાળા, વાલીઓ ટ્રસ્ટી મંડળ સાથે મળી અને સુ:ખદ ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું.વાનચાલકોની સેફ્ટિ અંગે પોલીસે સરકારના નિયમ મુજબ કડક વલણ અખત્યાર કર્યુ છે, ત્યારે વાનચાલકોએ સેફિટના નિયમનું પાલન કરવાના બદલે હડતાળ પર ઉતરી ગયા છે પરંતુ વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસના આગોતરા આયોજનના પગલે ઘણા બાળકોને સવારે નિયમીત સમયે શાળાએ પહોંચવામાં મદદ મળી હતી.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર