રાજકોટના ઈતિહાસમાં સૌથી મોટા ગણાતા જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનની કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ તેજ ગતિએ શરૂ થઈ છે. ગઈકાલે 1,000થી વધુ મકાનો જમીનદોસ્ત કર્યા બાદ આજે તંત્રનું બુલડોઝર બાકી રહેલા ગેરકાયદે દબાણો પર ફરી વળશે.
ગઈકાલની કામગીરી પર એક નજર
ગઈકાલે ડિમોલિશનના પ્રથમ દિવસે તંત્ર દ્વારા અભૂતપૂર્વ અને કડક કામગીરી કરવામાં આવી હતી. આખા દિવસ દરમિયાન કુલ 1119 જેટલી ગેરકાયદેસર મિલકતો અને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ પૈકીની 997 મિલકતો નદીના પટ વિસ્તારમાં આવેલી હતી, જેમાંથી 681 મકાનોને સંપૂર્ણપણે દૂર કરી દેવાયા હતા. વહેલી સવારથી શરૂ થયેલું આ ઓપરેશન મોડી રાત સુધી સતત ચાલ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે મોટા પાયે દબાણો હટાવ્યા હતા.
બીજા દિવસનું આયોજન
આજે બીજા દિવસના આયોજન મુજબ, વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને વિશાળ પોલીસ કાફલો ફરીથી જંગલેશ્વર વિસ્તારમાં તૈનાત થઈ ગયો છે. આજનો મુખ્ય લક્ષ્યાંક બાકી રહેલા અંદાજે 300 થી 400 ગેરકાયદે મકાનોને તોડી પાડવાનો છે. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વિસ્તારમાં સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
DCP હેતલ પટેલનું નિવેદન
સમગ્ર મામલે DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, "ડિમોલિશનની કામગીરી સંપૂર્ણપણે કાયદેસરની પ્રક્રિયા હેઠળ થઈ રહી છે. અત્યાર સુધી સ્થાનિક લોકોનો સારો સહકાર મળ્યો છે અને કામગીરી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડેપગે છે."