રાહુલ ગાંધીનો સંદેશ ગુજરાતના તમામ ઘરે પહોચાડાશે, કોંગ્રેસ હવે હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરશે

સોમવાર, 30 જાન્યુઆરી 2023 (15:41 IST)
રાહુલ ગાંધીનો સંદેશ ગુજરાતના તમામ ઘરે પહોચાડાશે, કોંગ્રેસ હવે હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરશે
અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સર્વ સમાજને સાથે રાખીને નીકળેલી ભારત જોડો યાત્રાનું સમાપન થયું છે.

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાને ખુબજ અભુતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રાથી પ્રેરાઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હાથ સે હાથ જોડોયાત્રા શરૂ કરશે. દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મિટિંગ થઈ જેમાં તારીખ 20થી 30 ડિસેમ્બર સુધી જીલ્લા કારોબારીમાં હાથ સે હાથ જોડો યાત્રાઅંગે ચર્ચા થઈ હતી. તારીખ 1 થી 10 જાન્યુઆરી સુધી યાત્રાના રૂટ નક્કી કરવા મિટિંગો થઈ અને 60-70 ટકા રૂટ નક્કી થઇ ગયા છે. ગુજરાતમાં તારીખ 01 ફેબ્રુઆરીથી હાથ સે હાથ જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમાં સૌપ્રથમ 71 નગરપાલિકાની જ્યાં ચૂંટણીઓ આવી રહી છે ત્યાંથી શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયતની સીટ વાઈઝ સમગ્ર ગુજરાતમાં આ યાત્રા ઘરે ઘરે ફરશે. ગુજરાતમાં ૩ અને ૪ ફેબ્રુઆરીએ ગાંધીનગર, ૪ અને ૫ ફેબ્રુઆરીએ ભિલોડા, ૬ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરીમાં સુધીમાં ૧૭ તાલુકામાં યાત્રા પૂરી કરવામાં આવશે. રાહુલ ગાંધીનો સંદેશ અને ચાર્જશીટ ગુજરાતના તમામ લોકોના ઘરે પહોંચડાશે એમ જગદીશ ઠાકોરે કહ્યું હતું. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધી દ્વારા તાનાશાહ અંગ્રેજો સામે 12 માર્ચ 1930ના રોજ શરુ કરવામાં આવેલી દાંડી યાત્રાએ વિશ્વમાં ઐતિહાસિક યાત્રાઓમાં સ્થાન ધરાવે છે તેવી જ રીતે 5 સપ્ટેમ્બરના રોજ શરુ થયેલી ભારત જોડો યાત્રા વૈશ્વિક ફલક પર સૌથી લાંબી રાજકીય પદયાત્રા તરીકે નામના પામી છે. રાહુલ ગાંધીએ દેશને જોડવા અને નફરત, ધ્રુણા, હિંસાને ખતમ કરવા અને ભાઈચારા, પ્રેમ, સદભાવનાના સંદેશને સમગ્ર દેશમાં ફેલાવવનું ભગીરથ કાર્ય ભારત જોડો યાત્રા થકી શરુ કર્યું છે. કોંગ્રેસ પાર્ટી આ ભારત જોડો ઝુંબેશને વધુ વ્યાપક બનાવવા માટે ૨૬ જાન્યુઆરીથી ૨૬ માર્ચ સુધી દેશભરમાં જન સંવાદ કાર્યક્રમ 'હાથ સે હાથ જોડો અભિયાન' ચલાવશે. જેનું નેતૃત્વ બ્લોક કોંગ્રેસ સમિતિઓ કરશે. આ અભિયાન હેઠળ ૬ લાખ ગામો, ૨.૫૦ લાખ ગ્રામ પંચાયતો અને ૧૦ લાખ મતદાન મથકો પર પહોંચીને રાહુલ ગાંધીનો સંદેશ અને મોદી સરકારની નિષ્ફળતાઓની ચાર્જશીટ દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર