રાહુલ ગાંધી બનાસકાઠાના ધાનેરામાં પુરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા

શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (15:44 IST)
બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પૂર આવ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે સંસ્થાઓ, સેવાભાવી લોકો અને ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પૂરપિડીતોની વ્હારે આવ્યા છે. ત્યારે  કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ધાનેરાના મલાત્રા ગામની મુલાકાત લેવા પહોંચ્યા છે.   રાહુલ સીધા રાજસ્થાનથી હેલિકોપ્ટર મારફત બપોરે બે વાગ્યે ધાનેરા આવી પહોંચ્યા છે. આ મુલાકાત વેળા પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનો જોડાયા છે. રાહુલ ગાંધી ધાનેરાથી ત્રણ અલગ અલગ જગ્યાઓએ પીડિતો-ગામના આગેવાનોને મળશે. ધાનેરા શહેરમાં પીડિતોની વ્યથા સાંભળ્યા બાદ તેઓ ધાનેરા માર્કેટ યાર્ડની મુલાકાત લેવાના છે. એ પછી માલોતરા ગામે પીડિતોને મળી તેમની સાથે સંવાદ કરશે. આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધી બપોરે ૩ વાગ્યા આસપાસ થરાની મુલાકાતે જશે. અહીં તેઓ રૂણી ગામના પૂરપીડિતો સાથે વાતચીત કરશે. જૈન ઉપાશ્રય ખાતે આસપાસના પૂરપીડિતો-અસરગ્રસ્તોને મળશે. આ પૂરપીડિતોની કેફિયત સાંભળી કોંગ્રેસ પક્ષ તરફથી અસરગ્રસ્તોને સહાય સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. બનાસકાંઠાના પૂરપીડિતોને મળ્યા બાદ રાહુલ સાંજે પાંચ વાગ્યે અમદાવાદથી સીધા દિલ્હી રવાના થશે.

વેબદુનિયા પર વાંચો