Surat News - સુરતના બહુમાળી ટેક્સટાઇલ માર્કેટમાં આગ, 50થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા

મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (09:12 IST)
સુરતમાં આવેલા રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઘટનાસ્થળે 5થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. આગ એટલી ભયંકર છે કે ચારેય તરફ ધુમાડો ફેલાઇ ગયો છે. જેના લીધે ફાયર બ્રિગેડના કર્મચારીઓને અંદર જવામાં મુશ્કેલી થઇ રહી છે. હાઈરાઈઝ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી છે. માર્કેટની અંદર કાપડની દુકાનો હોવાથી આગ ભીષણ છે.
 
જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં આ માર્કેટના 9મા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. તો બીજી તરફ હજુ કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. 
 
મળતી માહિતી મુજબ વિકરાળ આગ પર કાબૂ મેળવવા માટે 50થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. આ ઉપરાં 3 હાઈડ્રોલિક ક્રેનથી પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. 
તમને જણાવી દઇએ કે આ પહેલાં સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા કોમ્પ્લેક્સના બીજા માળે ભીષણ આગ લાગી હતી. તેમાં 20 લોકોના મોત નિપજ્યા હતા. જે ફ્લોર પર આગ લાગી હતી ત્યાં કોચિંગ સેન્ટર ચાલતું હતું. આગથી બચવા માટે કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતાં કેટલાક વિદ્યાર્થીઓએ ઉપરથી ઉલાંગ લગાવી હતી, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર