ઉત્તરાયણની તૈયારીઃ 800 એમ્બ્યુલન્સ સહિત એક એર એમ્બ્યુલન્સ તૈયાર, પક્ષીઓ માટે હેલ્પલાઈન

બુધવાર, 10 જાન્યુઆરી 2024 (15:56 IST)
- ઉત્તરાયણનાં તહેવારને લઈ કુલ 800 રોડ એમ્બ્યુલન્સ
- 108 દ્વારા ઉત્તરાયણનાં તહેવારને લઈ તૈયારીઓ શરૂ
- ગુજરાત પશુપાલન વિભાગ અને EMRI દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે હેલ્પલાઈન શરૂ 

 
ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસ બાકી છે. ત્યારે પતંગ લૂંટવાની લ્હાયમાં ધાબા પરથી પડવાનાં તેમજ વાહન ચાલકોને દોરી વાગવાનાં અસંખ્ય કિસ્સાઓમાં લોકોને તાત્કાલિક સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે. ત્યારે કોઈને જીવ ગુમાવવો ન પડે તે માટે ઈમરજન્સી 108 દ્વારા ઉત્તરાયણનાં તહેવારને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઈમરજન્સી 108 દ્વારા ઉત્તરાયણનાં તહેવારને લઈ કુલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ તૈયાર કરી છે. ત્યારે ઉત્તરાયણનાં તહેવાર દરમ્યાન થતા અકસ્માતનાં કેસની વાત કરીએ તો ગત વર્ષ કરતા ચાલુ વર્ષે અકસ્માતનાં કેસમાં 26 ટકાનો વધારો થવાની સંભાવનાં છે. તેજ સામાન્ય દિવસની સરખામણીએ ઉત્તરાયણનાં દિવસે કેસમાં 200 ટકાના વધારાની શક્યતા છે.  તેમજ વેહિક્યુલર ટ્રોમા અને નોને વેહિક્યુલર ટ્રોમાનાં કેસ વધુ નોંધાયા છે. તો ગળામાં દોરી આવી જવાનાં કેસમાં પણ નોંધપાત્ર વધારો થાય છે.

બીજી તરફ માણસ સહિત પક્ષીઓ પણ ધારદાર દોરીથી ઈજાગ્રસ્ત થતા હોય છે.  ત્યારે પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ગુજરાત પશુપાલન વિભાગ અને EMRI દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.  જેમાં પક્ષીઓ માટે ટોલ ફ્રી નંબર 1962 તેમજ પક્ષીઓ માટે 37 કરૂણા એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે.  ત્યારે ઉત્તરાયણનાં દિવસે પક્ષીઓ ઘાયલ થવાની સંખ્યામાં ખાસ્સો વધારો થાય છે.  હાલ રોજની 28 બર્ડ ઈંજરી સામે આવી રહી છે. ત્યારે ઉત્તરાયણનાં દિવસે 660. જ્યારે વાસી ઉત્તરાયણનાં દિવસે 480 કેસ નોંધાયા છે. ગત વર્ષે ઉત્તરાયણનાં દિવસે 4280 કેસ તો વાસી ઉત્તરાયણનાં દિવસે 4021 કેસ નોંધાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર