PM મોદી આદ્યા શક્તિ દેવી પાર્વતી મંદિરનો કરશે શિલાન્યાસ, જાણો કેવી હશે સુવિધાઓ

રવિવાર, 8 ઑગસ્ટ 2021 (13:04 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્મરણીય બાબા સોમનાથની આદ્યા શક્તિ દેવી પાર્વતી મંદિરનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ થશે. મંદિરના શિલાન્યાસની સાથે જ વડાપ્રધાન સોમનાથ મંદિર પરિસરની ચારે બાજુ બનાવવામાં આવેલા પરિપથનું લોકાર્પણ પણ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા અહીં 50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વોક વે, મ્યુઝિયમયમ સહિતનાં વિકાસકામોનું લોકાર્પણ અને નિર્માણ થનાર રૂ.21 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ ટુંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ અને શિલાન્યાસ વિધિ થવાની છે.
 
જેમાં સોમનાથ મંદિર નજીક સમુદ્રકિનારે સવા કિલોમીટર લાંબો વોક વે, ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ અને અહિલ્યા બાઇ (જુના સોમનાથ મંદિર) મંદિર પરિસરમાં વિકાસકાર્યોનું લોકાર્પણ તથા સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થનારા પાર્વતીજી મંદિરના શિલાન્યા સહિતના કામોનું ઓનલાઇન કાર્યક્રમ થશે. 
 
અત્રે નોંધનીય છે કે, સોમનાથ મંદિર આસપાસ નવા મંદિરો બનાવવામાં આવશે. જેમાં ભવ્ય શ્રીરામ મંદિર, ગોલોકધામ બનાવવાની તૈયારી ચાલી રહી છે. સોમનાથ મંદિર પરિસરમાં 21 કરોડના ખર્ચે ભવ્ય શક્તિપીઠ પાર્વતીજી મંદિરનું પણ નિર્માણ કરવાનું નક્કી કરાયું છે. આ મંદિર પરિસરની જુની ચોપાટી નજીક અને હાલના યજ્ઞ મંડપ નજીક સફેદ માર્બલનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. 
 
સોમનાથ મંદિર અરબ સાગરના બિલકુલ કિનારે આવેલું છે. ત્યાંથી લહેરાઈ રહેલા સમુદ્રનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. તેને વધુ સુંદર બનાવવા માટે સરકારે 45 કરોડ રૂપિયાના ખર્ચે સવા કિલોમીટર લાંબો વૉક વે બનાવ્યો છે. ત્યાં ફરતા ફરતા પર્યટકો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો મંદિરના દિવ્ય વાતાવરણ અને નિસર્ગના ખોળાનો આનંદ એક સાથે જ ઉઠાવી શકે છે. મંદિરના ઘંટની ગૂંજ અને દરિયાનો ઘૂઘવાટ એક સાથે દિવ્ય વાતાવરણ સર્જે છે. 
 
આઝાદી પછી દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં 8 મે, 1950ના રોજ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કાર્ય શરૂ થયું હતું. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 11 મે, 1951ના રોજ ત્યાં જ્યોતિર્લિંગની સ્થાપના કરાવી હતી અને 01 ડિસેમ્બર, 1955ના રોજ તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. જોકે, મંદિરનું નિર્માણ કાર્ય 1962માં પૂર્ણ થયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર