પાટણ નજીક કારે બાળકને અડફેટે લેતાં મોત, કાર ચાલક ફરાર

ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (20:31 IST)
રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર લાગી છે. ત્યારે હારીજ નજીક આવેલા નામાગામ પાસે ખેતરેથી ઘરે પરત ફરી રહેલા બાળકને કાર ચાલકે અડફેટે લીધો હતો. કાર ટક્કર વાગતાં ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કારમાં તોડફોડ કરી હતી. જોકે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર હારીજના નામાગામ પાસે સરસ્વતી નદીના ડીપમાં રોડ પર ફોઇ અને ફુવા સાથે ખેતરેથી આવી રહેલા 3 સહદેવને જીજે 18 એએ 6736 નંબરની સેન્ટ્રો કારના ચાલકે ટક્કર મારી હતી. જેથી સહદેવ કારની નીચે આવી જતાં તેનું સહદેવને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને લોહીલુહાણ થઇ ગયો હતો. 
 
ખાનગી વાહન મારફતે તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. અકસ્માતના પગલે પાટણ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગામમાં અરેરાટી અને આક્રંદનો માહોલ સર્જાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર