સુરતમાં 50 રૂપિયાની ફાટેલી નોટ ન લેતા કરિયાણાંના દુકાનદારની બે યુવકો દ્વારા હત્યા

સોમવાર, 4 જાન્યુઆરી 2021 (16:13 IST)
સુરતના વરાછા વિસ્તારમાં કરિયાણાંની દુકાન ચલાવતા એક ઇસમની બે ઈસમોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. 50 રૂપિયાની ફાટેલી નોટ લઈને બે ઈસમો સોડા લેવા આવ્યા હતા પરંતુ ફાટેલી નોટ નહિ લેતા ઉશ્કેરાયેલા બંને ઈસમોએ દુકાનદારને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.

આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યા છે. મૃતકના પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી.સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટીચાલ આવેલી છે. 28 વર્ષીય અમરદીપ નામનો યુવાન કરિયાણાંની દુકાન ચલાવતો હતો. ગતરોજ તે દુકાન પર હતો ત્યારે બે ઈસમો ત્યાં આવ્યા હતા અને 50 રૂપિયાની ફાટેલી નોટ આપી સોડા માંગી હતો. જોકે, નોટ ફાટેલી હોવાથી દુકાનદાર અમરદીપે સોડા આપી ન હતી. જેથી રોષે ભરાયેલા બંને ઈસમોએ ઝઘડો શરુ કર્યો હતો. ત્યારબાદ અમરદીપને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવની જાણ થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અમરદીપના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરૂખ શાકીર શેખ, જુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ મૃતક અમરદીપના પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર