STનું કૌભાંડ: ટેન્ડરની શરતોને અવગણી હલકી ગુણવત્તાવાળી બસો બનાવાઇ

મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (12:02 IST)
સલામત મુસાફરીનો દાવો કરનાર એસટી નિગમ વિભાગ પણ હવે ભ્રષ્ટાચારથી બાકાત રહ્યું નથી. એસટી નિગમના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની સાંઠગાંઠના પગલે હલકી ગુણવત્તાવાળી બસોની બોડી બનાવીને મોટી ખાઇકી થઇ હોવાના નિર્દેષો મળ્યા છે. રૃા. ૨૩.૮૯ કરોડનો ધૂમાડો કર્યો છતાં ખામીયુક્ત બસોની બોડી બનાવવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.

૩૬૦ પૈકી ૩૪૪ બસોની બોડી તકલાદી હોવા છતાં એસટી નિગમના અધિકારીએ માત્ર ૧૬ બસોની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશન નોંધાવી છે. સેટેલાઇટમાં રહેતા અને નરોડા એસટી નિગમની કચેરીમાં યાંત્રીક ઇજનેર તરીકે નોકરી કરતા પ્રજ્ઞોશભાઇ પટેેેલે નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કુલ ૩૬૦ બસની ચેસીસ ઉપર બૉડીનું બાંધકામ કરવા માટે ટેન્ડર બહાર પાડયું હતું. જે ટેન્ડર ફરીદાબાદ હરિયાણાની પારસ મોટર ઇન્ડસ્ટ્રીઝ કંપનીના આદીશ કુમાર જૈનનું રૃા. ૨૩, ૮૯,૦૦,૦૦૦૦નું ટેન્ડર પાસ થયું હતું. જેનો વર્ક ઓર્ડર ૩૧ મે ૨૦૧૬થી કામ આપવામાં આવ્યું હતું. જેમાં બસની બોડીની પાંચ વર્ષની ગેરંટી તથા વોરંટી હતી. આ બસોની બોડીની કામીગીરી પૂર્ણ કરીને ગુજરાતની અલગ અલગ એસટી ડેપોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ૫૦ બોડી ખામીયુકતવાળી બસો રોડ પર દોડતી હતી. જો કે અકસ્માત અને જાનહાની થવાના ડરના કારણે ૫૦ પૈકી ૧૬ બસો નરોડા વર્કશોપમાં પરત મંગાવવામાં આવી હતી અને એસટી નિગમના અધિકારીઓએ પારસ મોટર ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોની હાજરીમાં ચકાસણી કરાતા ૧૦ બસોમાં તો ગંભીર પ્રકારની બેદરકારી બહાર આવી હતી. બીજીતરફ ૩૪૪ બસો પણ પરિવહનમાં ચાલુ છે જેમાં પણ ગંભીર પ્રકારની ખામીઓ છે. નિગમ દ્વારા કોન્ટ્રાકટરને અનેક વખત રજૂઆત કરવા છતાં બસોની ચકાસણી કરવા નહી આવતાં હોવાથી અંતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર