વિધાનસભાના પ્રોટેમ સ્પીકર નીમાબેન સહિત ત્રણ જણાને એક વર્ષની સજા, 30 દિવસના જામીન મળ્યા

મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (10:20 IST)
2009માં યોજાયેલ લોકસભા ચૂંટણી દરમિયાન મોરબીમા સનાળા રોડ મોર્ડન હોલમાં યોજાયેલ એક ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિ અમૃતિયા અંજારના તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્યે જો ભાજપ તરફી મતદાન થશે તો રોકડ રકમ આપવાની જાહેરાત કરી હતી. જે અંગે મદદનીશ ચૂંટણી અધિકારીએ આચરસંહિતા ભંગની ફરીયાદ કરી હતી.

જે અંગે સોમવારે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ ચાલતા મેજિસ્ટ્રેટે માજી ધારાસભ્ય કાંતિ અમૃતિયા, અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, અને હાલના પાસ કન્વીનર મનોજ પનારાને એક એક વર્ષની સજા ફટકારી હતી. હાલ તમામને ઉપલી કોર્ટમાં અપીલ કરતા 30 દિવસના જામીન આપ્યા હતા. 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન તા. 18માર્ચના મોરબીમા સનાળા રોડ પર મોર્ડન હોલમાં તત્કાલીન યુવા ભાજપ પ્રમુખ મનોજ પાનરાએ નૂતન મતદાર સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં મોરબી, માળિયા બેઠકના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ શિવલાલ અમૃતિયા, અંજારના તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય હાજર રહ્યા હતા અને ચૂંટણી પ્રચાર વખતે કાંતિ અમૃતિયાએ જાહેર કર્યું હતું કે મોરબીમાં જે વિસ્તારમાં ભાજપને વધુ મત મળશે ત્યાં 1.51 લાખનું ઇનામ આપશે. આ બાદ ઉત્સાહમાં આવી ગયેલ તત્કાલીન ભુજના ધારાસભ્ય નિમાબેને 5 લાખ રૂપિયા સાંસદસભ્યની ગ્રાન્ટમાંથી આપશે તેવી જાહેરાત કરી હતી. જે અંગે મદદનીશ ચૂંટણી અધિકારી એ.જે.પટેલે આચારસંહિતા ભંગની ફરીયાદ કરી હતી. જે અંગે મોરબી કોર્ટમાં આજે સુનવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ આર. એ. ગોરીની દલીલના આધારે ડિસ્ટ્રીક્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જે.જી દામોદ્રાએ માજી ધારાસભ્ય કાંતિ અમૃતિયા, અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય અને હાલના પાસ કન્વીનર મનોજ પનારાને એક એક વર્ષની સજા તથા દરેકને 100 રૂપિયા દંડ ફટકાર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર