હટ્યુ પદમાવત ફિલ્મના વિરોધનું ગ્રહણ, ફરીથી ધમધમ્યો વાહનવ્યવહાર

મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (10:25 IST)
ગુજરાતમાં 'પદ્માવત'ની  રિલીઝ સામે વિરોધ પ્રદર્શનમાં  તોફાની તત્વોએ સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસોને ટાર્ગેટ બનાવી હતી. આ સંજોગોમાં એસટીના અનેક રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા જેના પગલે મુસાફરોને ભારે હાલાકી પડી હતી. જોકે હવે પરિસ્થિતિ કાબૂમાં આવી જતા તમામ રૂટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ફિલ્મની રિલીઝ સામે વિરોધ વ્યક્ત કરવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસોને ટાર્ગેટ બનાવવામાં આવી હતી.

તોફાનીઓએ અમદાવાદથી ઉત્તર ગુજરાતના રૂટ પર દોડતી એસટી બસોને મોટાપાયે ટાર્ગેટ બનાવતા આ રૂટ પર બસોનો વાહનવ્યવહાર અટકાવી દેવામાં આ્વ્યો હતો. આજે સવારે પણ મહેસાણા વિભાગના 11 ડેપોના રૂટ હજુ બંધ હતા જ્યારે ઊંઝાથી પાટણ અને અમદાવાદ, પાટણથી ચાણસ્મા-મહેસાણા-અમદાવાદ, હારીજથી ચાણસ્મા-મહેસાણા-અમદાવાદ તેમજ ખેરાલુથી વડનગર-વિસનગર-મહેસાણા-અમદાવાદ રૂટ શરૂ કરવામાં આ્વ્યા છે. જોકે હવે તમામ રૂટ પર બસો દોડતી થઈ ગઈ છે. પદ્માવત ફિલ્મને લઈ ગુજરાતમાં  ત્રણ દિવસથી થતા વિરોધ પ્રદર્શનથી સરકારી સામગ્રીને મોટા પ્રમાણમાં નુકસાન પહોચ્યું હોવાની વિગતો સામે આવી છે. શનિવારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચક્કાજામની ઘટનાઓ ઘટી હતી. શનિવાર રાતથી લઈને હાલમાં સુધીમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ ડેપોની અંદાજે 800થી વધુ બસોના પૈડી થંભી ગયા હતા. તમામ સ્ટેટ હાઈવે બંધ કરી દેતા એસટી નિગમની આવકમાં પણ મોટો ફટકો પડયો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર